Sunday, 25 January 2026

રાષ્ટ્રીય તહેવારોની ઉજવણીએ મારું મનોમંથન

 26 જાન્યુઆરી 2026 — ભારતનો 77મો ગણતંત્ર દિવસ. આજના દિવસે મનમાં અનાયાસે એક પ્રશ્ન ઊભો થાય છે —

શું આજની પેઢી ખરેખર સમજી શકે છે કે આઝાદી શું છે? શહીદો કોણ હતા? અને ગુલામીનો અંધકાર કેટલો ઊંડો હતો?

આ પ્રશ્ન જો એક સામાન્ય નાગરિકના મનમાં ઊઠે તો સ્વાભાવિક છે,

પરંતુ જ્યારે એ પ્રશ્ન એક શિક્ષકના મનમાં ઉદ્ભવે —

ત્યારે એ ભારતની શૈક્ષણિક વ્યવસ્થા સામેય પ્રશ્નાર્થ ઊભા કરે છે! 

શિક્ષક તરીકે હું સ્વીકારું છું કે માત્ર અભ્યાસક્રમ, પાઠ્યપુસ્તકો કે શિક્ષકના શબ્દોથી દેશપ્રેમ, ભારતનો ઇતિહાસ, ગૌરવગાથા અને શહીદોના અમર બલિદાન

વિદ્યાર્થીઓના હૃદયમાં ઊંડે સુધી ઉતરી જાય — એવું માનવું અધૂરું છે.

આજની પેઢીમાં દેશપ્રેમ છે, આ સત્ય છે.

પરંતુ ઘણી વખત એ દેશપ્રેમની મૂળભૂત જડ મજબૂત નથી. બલિદાન, સંઘર્ષ અને પીડાની ગાથાને જાણ્યા, સમજ્યા અને અનુભવ્યા વગર ઉદ્ભવતો દેશપ્રેમ ઘણી વાર માત્ર પ્રતિકાત્મક બનીને રહી જાય છે.


મારાથી અનાયસે આજના સમયના કિશોરો અને પોતાની કિશોરાવસ્થાની સરખામણી થઈ જાય છે. અમારા સમયમાં 26 જાન્યુઆરી અને 15 ઑગસ્ટ માત્ર રજાનો દિવસ નહીં 

એ રાષ્ટ્રપ્રેમનો ઉત્સવ હતો. શાળાઓમાં રાષ્ટ્રભક્તિના ગીતો ગૂંજી ઊઠતા, શહીદોના નારા દિલમાંથી નીકળતા અને કાર્યક્રમોમાં રાષ્ટ્રીય નેતાઓના જીવન પર આધારિત નાટકો

અમને દેશના ઈતિહાસ સાથે જીવંત રીતે જોડતા. પાઠ્યપુસ્તકમાં આવતો ભગતસિંહ, ગાંધીજી કે સરદાર શાળાનું ભણતર પૂરુ થયા પછી કદાચ ભૂલાઈ જાય, પણ મંચ પર જીવંત બનેલા તેમના સંઘર્ષ અને સમર્પણ જીવનભર માટે મનમાં વસીને રહી જતાં.

રાષ્ટ્રીય તહેવારોના દસ-પંદર દિવસ પહેલાંથી શરૂ થતી તૈયારી અમને શિસ્ત, સમર્પણ અને જવાબદારીનું મહત્વ શીખવતી એ તૈયારી જ રાષ્ટ્રીય પ્રેમની નીવ હતી.


આજના સમયમાં જ્યારે રાષ્ટ્રીય તહેવારોના કાર્યક્રમો તરફ નજર કરીએ, ત્યારે ઘણી વખત સ્વાતંત્ર્ય સંગ્રામ, ગુલામી સામેનો સંઘર્ષ અને રાષ્ટ્રીય નેતાઓની વિચારધારા કાર્યક્રમોમાંથી ગાયબ હોય છે. એની જગ્યાએ મનોરંજન અને સામાન્ય નૈતિક સંદેશાઓએ સ્થાન લીધું છે.

આ કાર્યક્રમો ખોટા નથી —

પરંતુ રાષ્ટ્રીય તહેવારો પર કેમ રાષ્ટ્રને સંલગ્ન કાર્યક્રમો ગાયબ થાય?

આ પ્રશ્ન મને સતત મથામણમાં નાખે છે.

બાળકોની વાર્તા વાંચનમાં શહીદોની નાની-નાની પ્રેરણાદાયી કથાઓ હવે ભાગ્યે જ જોવા મળે છે. કાર્ટૂન અને વિડિઓઝમાં પણ રાષ્ટ્રપ્રેમને રસપ્રદ રીતે રજૂ કરવાની રીત નથી . એની સામે કલ્પનાજગતના પાત્રો બાળકોને વધુ આકર્ષે છે.

પેઢી દર પેઢી સંઘર્ષ બદલાય — એ સ્વાભાવિક છે. પરંતુ પોતાના પૂર્વજોની સંઘર્ષની કથા ભુલાઈ એ અસ્વાભાવિક છે. દરેક પેઢીને પોતાનો ઇતિહાસ ખબર હોવો જોઈએ..એ જ તો ભારતીય પરંપરા છે.


આઝાદીની ઉજવણી પહેલા આઝાદીની સમજણ હોવી જોઈએ...કારણ કે પોતાના મૂળને ઓળખ્યા વગર કોઈપણ રાષ્ટ્રનું ભવિષ્ય મજબૂત બની શકે નહીં.......

Tuesday, 6 January 2026

ભક્તિ આંદોલનમાં મીરાબાઈ

મીરાબાઈ : સ્ત્રી ચેતનાનો અનન્ય અવાજ


સાતમીથી સત્તરમી સદી દરમિયાન ભારતીય ઉપખંડમાં હિન્દુ અને મુસ્લિમ સંસ્કૃતિના સમન્વયના આધારરૂપે સૂફિ–ભક્તિ આંદોલન વિકસ્યું. આ આંદોલન માનવમાત્રમાં ઈશ્વર પ્રત્યેના પ્રેમ, સમર્પણ અને સમાનતાનો સંદેશ આપે છે. અયનાર, નયનાર અને મધ્યકાલીન સંતોએ આ પરંપરાને વિશિષ્ટ ઊંચાઈ આપી. આ જ પરંપરામાં રાજસ્થાનની મહાન સ્ત્રી સંત મીરાબાઈનું પ્રદાન અતિ મહત્ત્વપૂર્ણ છે.


મીરાબાઈ 15મી સદીમાં વૈષ્ણવ ધર્મની સગુણ ભક્તિના સ્ત્રી પ્રતિનિધિ તરીકે ઊભરી આવે છે. ઈ.સ. 1498માં રાવ રતનસિંહના કુળમાં તેમનો જન્મ થયો. બાળપણથી જ દાદાના એક વાક્યથી પ્રેરાઈ મીરાએ શ્રીકૃષ્ણને પોતાના પતિ સ્વરૂપે સ્વીકારી લીધા. મેવાડના રાણા સાંગાના પુત્ર ભોજરાજ સાથે તેમના લગ્ન થયા છતાં તેમનું ચિત સંપૂર્ણપણે કૃષ્ણમાં જ લીન રહ્યું.


સંત રૈદાસ જેવા ગુરુઓના માર્ગદર્શનથી મીરાની કૃષ્ણભક્તિ વધુ દૃઢ બની. વૃંદાવન અને દ્વારકાની દંતકથાઓ તેમની અનન્ય ભક્તિની પરાકાષ્ઠા દર્શાવે છે. 16મી સદીના સામંતશાહી, પિતૃસત્તાત્મક અને રૂઢિવાદી રાજપૂત સમાજમાં મીરા ભક્તિ સંપ્રદાયની એક અનન્ય સ્ત્રી પ્રતિનિધિ તરીકે સામે આવે છે. પતિને પરમેશ્વર માનવાની પરંપરામાં મીરા પરમેશ્વરને જ પતિ સ્વરૂપે સ્વીકારે છે, જે પુરુષપ્રધાન સમાજ માટે એક ખુલ્લો પડકાર હતો.


સતી પ્રથા ગૌરવરૂપ ગણાતી એ સમયગાળામાં મીરા ભક્તિના માર્ગે ચાલીને આ પ્રથાને નૈતિક રીતે પડકારે છે. આ રીતે મીરા માત્ર ભક્ત નહીં પરંતુ સામાજિક વિદ્રોહી સ્ત્રી ચેતનાનું પ્રતિબિંબ બને છે.


સગુણ ભક્તિના ગાયન, વાદન અને નર્તન – આ ત્રણેય તત્વોનો સુમેળ એટલે મીરાબાઈ. કરતાલ અને એકતારો સાથે કૃષ્ણભક્તિમાં લીન મીરા આજે પણ લોકકથાઓમાં જીવંત છે. માંડ, ગુજરી અને મારું જેવા લોકરાગોમાં ગવાયેલા તેમના પદો સંગીત અને અર્થબોધનો સુંદર સમન્વય કરે છે.


મીરાના પદો મીરાંની પદાવલી, પદ પ્રણાલિકા, ભક્તમાલ તથા વૈષ્ણવ સંપ્રદાયની પાંદુલિપિઓમાંથી પ્રાપ્ત થાય છે. મોટાભાગના પદો વજ્ર રાજસ્થાની બોલીમાં રચાયેલા છે, જે લોકબોલીથી નજીક હોવાને કારણે જનમાનસ સુધી સહજ રીતે પહોંચ્યા. આ પદોએ ઈશ્વરભક્તિને સરળ, સુલભ અને પરિવર્તનશીલ માર્ગ તરીકે જનજન સુધી પહોંચાડી.


મધ્યયુગીન ભક્તિ આંદોલનમાં મીરાબાઈ એક તરફ સામંત પ્રથા અને વૈવાહિક બંધનો સામે ઊભી રહેનારી સ્વતંત્ર, આધુનિક વિદ્રોહી સ્ત્રી છે, તો બીજી તરફ આધ્યાત્મિક રહસ્યવાદ અને અલૌકિક ગોપીમય સમર્પણથી ભરપૂર સ્ત્રી ચેતનાનું ઉત્તમ રૂપ છે.


આ રીતે મીરાબાઈ સૂફિ–ભક્તિ પરંપરામાં પ્રેમ, સમર્પણ અને સમાનતાનો શાશ્વત સ્વર બની ઊભરે છે. તેમની ભક્તિ માત્ર આધ્યાત્મિક નથી પરંતુ સ્ત્રી સ્વતંત્રતા અને સામાજિક જાગૃતિનો પ્રબળ અવાજ છે. મીરાનું જીવન અને કાવ્ય આજેય માનવતાને પ્રેમ અને ભક્તિના માર્ગે દોરે છે.

જામનગર સ્થાપત્ય

 1540 માં નવાનગર તરીકે જામરાવળે વસાવેલું શહેર આજે જામનગર તરીકે પ્રસિદ્ધ છે. પ્રજા વત્સલ્ય જાડેજા રાજાઓના કલા પ્રેમે જામનગર સૌરાષ્ટ્રના સ્થાપત્ય અને કલાના ઇતિહાસમાં અદિત્ય સ્થાન ધરાવે છે. 


જાડેજા વંશના શાસનકાળમાં જામનગર શહેરમાં ખંભાળિયા, દ્વારકા, કાલાવડ અને ભાદરા ચાર મુખ્ય ગેટ હતા.ખંભાળિય ગેટ બાંધકામ અને સુરક્ષા પદ્ધતિનુ સુંદર પ્રતિબિંબ છે. ભુજીયા કોઠામાં છઠ્ઠા માળે બનેલ વોચ ટાવર સ્થાપત્યમાં યુરોપિયન પ્રભાવ દર્શાવે છે. તો રણમણ કે લખોટા તળાવમાં સ્પષ્ટ રીતે હિન્દુ -યુરોપિયન તત્વનો પ્રભાવ દેખાય છે જે આજે જામનગરના મ્યુઝિયમ તરીકે લોકો માટે ખુલ્લું છે .રણજીતસિંહ દ્વારા બંધાવવામાં આવેલ પ્રતાપ વિલાસ પેલેસ ઈન્ડો સેનેસિનિક શૈલીનું ગુજરાતી સ્થાપત્ય છે. જામ વિભાજી દ્વારા બનાવાયેલ વિભાવિલાસ પલેસ હાલમાં જામનગરના સર્કિટ હાઉસ તરીકે સુશોભિત છે. જાડેજા રાજાઓનો દરબારગઢ રાજપૂત-યુરોપિયન શૈલીમાં છે.જામનગર સોલેરીયમ ખાસ વૈજ્ઞાનિક સ્થાપત્ય સ્મારક છે.


સેન્ટ મેરી ચર્ચ , જામા મસ્જિદ, બાલા હનુમાન મંદિર ધાર્મિક સ્થળો ઉલ્લેખની છે, સિધ્ધનાથ મહાદેવ જામનગર ને 'છોટા કાશીની 'પ્રસિદ્ધિ અપાવે છે.


જામનગરની સ્થાપત્ય કલા અહીંના રાજાઓનો કલા પ્રેમ અને પ્રજાપ્રેમનું ઉત્તમ ઉદાહરણ છે. હિંદુ, યુરોપિયન અને ઈન્ડો-સેરેસિનિક શૈલીઓના સંમિશ્રણથી આ શહેર સૌરાષ્ટ્રના ‌સ્થાપત્ય ઇતિહાસમાં વિશિષ્ટ સ્થાન ધરાવે છે અને “સૌરાષ્ટ્રનું પેરિસ” તરીકે ઓળખાય છે.

Sunday, 30 January 2022

મારી નજરે કમ્ફર્ટ ઝોન એક ભ્રમ

ઈન / આઉટ કમ્ફર્ટ ઝોન!? 

"કમ્ફર્ટ ઝોન" આ શબ્દ સાંભળ્યો ને વાંચ્યો હશે જ સૌ કોઈએ. તો આ શબ્દને લઈને થોડુંક.

જીવનના અમુક પડાવે આ શબ્દ ખૂંચે. ને એમાં જ ડૂબવાનું મન થઈ જાય અથવા તો તોડવાનું. પણ એક છોકરી જે ભણવામાં નબળી છે ને એને ભણવામાં મન પણ નથી. અને ચડાવ પાસ થાય, દરેક ધોરણમાં. પછી કેટી સોલ્વ કરીને કે કાપલીનો સહારો લઈને પાસ થાય! હવે, આને આપણે શું કહીશું!? અને એક બીજો દાખલો લઈએ, જે પહેલીની જેમ જ ભણવામાં નબળી, પણ એને ભણવું છે. અને એ પ્રગતિ કરે છે. આને શું કહેશો!? કે કમ્ફર્ટ ઝોન તોડ્યો, એમ? પણ પહેલીની દ્રષ્ટિએ જોઈએ તો? એને સંઘર્ષ કર્યો હોય, એમ નથી લાગતું?

આપણે જ્યારે આપણી નજરથી દુનિયા જોઈએ છીએ તો ઘણું બધું કમ્ફર્ટ ઝોનમાં સ્થિત જીવન લાગશે અથવા તો સંઘર્ષમાં.

ખેર, હજુ એક ઉદાહરણ લઈએ. એક ખેડુતપુત્ર કે જેને ખેતીમાં રસ નથી અને તે જમીન વેચીને શહેરમાં શિફ્ટ થઈને રહેવા લાગે છે. અને બીજો એક વ્યક્તિ એન્જિનિયર હોવા છતાંયે પોતાને વારસામાં મળેલી જમીન ઉપર ઓર્ગેનિક ખેતી કરે છે! બન્ને પોતાની લાઈફમાં ખુશ છે. આમના કમ્ફર્ટ ઝોન અંગે શું કહેવું ?!

દરેક વ્યક્તિને પોતાનો સંઘર્ષ હોય છે , જેમાં શાંતિ, આનંદની અનુભૂતિ એ અલગ. આ અનુભૂતિને જ તેમની સફળતા એ ગણી શકાય ને !

હજી એક વ્યુ પોઇન્ટ ઉમેરું, એક સ્ત્રી પોતાની મરજીથી ગૃહિણી બનવાનું પસંદ કરે છે, જ્યારે બીજી બહાર કામ કરવાની ઈચ્છા છે પરંતુ આવડત નથી, ને આવડત કેળવવાનો રસ્તો ખબર છે પણ હિંમત નથી માટે ગૃહિણી બનવાનું પસંદ કર્યું. આ બન્નેમાં ફેર છે..સ્ત્રી બહાર નીકળી હુન્નર કેળવે, એને આજકાલના વિચારકોની દષ્ટિએ કમ્ફર્ટ ઝોન છોડ્યો કહેશું. અને જો ગૃહિણી બંને તોય જાતની ઈચ્છા સાથે સમજોતા કરી જીવવાનો સંઘર્ષ તો છે જ ! ... એને શું કહેશું ??

Thursday, 2 December 2021

"એરેન્જ મેરેજ" - સહજ રીતનો અસહજ અમલ 1

જન્મ લગ્ન અને મરણ ત્રણ મહત્વના પડાવ છે જીવનમાં. જન્મ અને મરણ તો માણસનાં હાથમાં નથી, માણસ ખાલી લગ્ન જ પોતાની મરજીથી કરી શકે છે કે પસંદગી કરવાની તક મળે છે. આ વ્યવસ્થાને સમાજ અને સંબંધી દ્વારા મેનેજ થાય છે, જેને આજકાલ એરેન્જ મેરેજ કહેવાય છે. આમ તો પ્રાચીન કાળથી ગાંધર્વ વિવાહ એ ખાસા પ્રચલિત છે, પરંતુ મારા જેવાં ઘણાં જેમણે ભણતર અને જીવન માણવાની ધૂનમાં એ પાસા પર ધ્યાન નથી આપ્યું એમને ભાગે એરેન્જ મેરેજ જ આવે છે. જોકે ક્યાંક સમાજ શું કહેશે ! બીજી જ્ઞાતિમાં નહીં થાય! સંતાને માતા-પિતાની મરજીથી જ લગ્ન કરવાં જેવાં હઠાગ્રહ એ એરેન્જ મેરેજ ને વધારે "ખતરનાક" બનાવે છે. હું ખતરનાક શબ્દ જ વાપરવાનો પસંદ કરીશ કારણ કે, ભલે સિધ્ધાંતની દ્રષ્ટિએ આદર્શ વ્યવસ્થા હોય પરંતુ અમલ કરવામાં સમાજ દેખાદેખી વધારે ને બુધ્ધી ઓછી વાપરે છે, પરિણામે આદર્શ વ્યવસ્થાએ બેહુદુ રૂપ ધારણ કર્યું છે અને તેના ભોગ બને છે મારા જેવાં યુવાનો.

સારું પાત્ર પસંદ કરવાની લાહ્યમાં આપણે કેટકેટલું કરતા હોઈએ છીએ, પરંતુ સારું પાત્ર એટલે કેવું ? એ વિષે વિચાર ઓછો કરીએ છીએ. 
શરૂઆત જ 'છોકરી જોવાથી' કરીએ છીએ, જાણે દેખાવ જ મહત્વનો હોય. દેખાવે ગમી જાય એ છોકરી માતાપિતા સન્માન ના કરતી હોય તો ચાલશે ?! લગ્ન જીવન તો યુવાનીથી લઈને ઘડપણ સુધીનો સથવારો છે સુંદર ચહેરો યુવાનીમાં સારો લાગશે સાથે તોછડો સ્વભાવ હશે તો ચાલીસી પછી શું ! છોકરી પક્ષે વાત કરું તો સુખસુવિધા, ઘરકામમાં મનમાની છોકરાનાં ઘરની આર્થિક પરિસ્થિતિ જોઈને જ લગ્ન થાય. પરંતુ જ્યાં આત્મસન્માન ના જળવાઇ, જ્યાં સમાન વ્યવહાર ના થાય ત્યાં જીંદગી જીવાશે ? કે પછી ભૌતિક સુખસુવિધાની મલમપટ્ટીથી જીંદગીભર કામ ચલાવશો‌ ? દહેજમાં જોઈએ એ મળશે આધુનિક યુગમાં છોકરીનાં પરિવારને પરંપરા નામે કરિયાવરનો ભારો હોય જ છે, પરંતુ જોઈએ એટલું દહેજ લઈ આવે એ ઘરને ના જોડી રાખે તો ?!
આવા તો ઘણા સવાલો ઉભા હોય લગ્ન માટે પસંદગી કરવામાં પરંતુ પસંદગીનો આધાર શું ??
સમાજના બે ચાર લોકોનો "સારા છે" નો અભિપ્રાય અને વીસ પચ્ચીસ મિનિટની વાતચીત. શું આટલામાં લાઈફ પાર્ટનર શોધી શકાય !?
માણસને ઓળખવા માટે એ આટલો સમય અપુરતો છે ! અને કેટકેટલું જાણવાનું હોય સ્વભાવ, ગમા અણગમા , કેરીયર જોબ, માણસ તરીકે પાત્ર કેવું અને ખાસ એમની સાથે બાકીની લાઈફ આનંદમાં વિતશે ને ! જો 'joy of life' ના હોય તો બીજા 32 લક્ષણો મળે એનો એ મતલબ નથી..

ચતુર, પ્રભાવશાળી વ્યક્તિગત, વાક્પટુ ને સારું ફેમિલી બેકગ્રાઉન્ડ ધરાવતા છોકરા સરળતાથી પસંદગી મેળવી લેતા હોય છે જ્યારે છોકરીઓમાં પણ સુંદર, ઘરરખ્ખુ , શાંત, સંસ્કારી (કે સંસ્કારી હોવાનો દેખાવ કરી શકતી) ને સારો કરિયાવર લાવતી છોકરીઓ માટે રસ્તો સરળ હોય છે. મારા જેવી સિધ્ધાંત, સ્પષ્ટતા અને ભાવિનાં આયોજન સાથે ચાલતી છોકરીઓ માટે અહીં પણ સંઘર્ષ જ લખાયો હોય છે સાથે પારિવારીક સમસ્યા અને સંતોષી તોય ઓછી આવક સાથે જીવનને માણવાની ઇચ્છા રાખતા છોકરાઓ માટે પણ મેરેજ કરવામાં ઘણી સમસ્યાઓ હોય ‌છે.
મારી રીતે સ્પષ્ટ શબ્દમાં કહું તો તમે છોકરો હોવ કે છોકરી સમાજના મતે તમે ' પરફેક્ટ મેરેજ મટીરીયલ' નથી તો એ તમારી સૌથી મોટી ભૂલ છે. પાત્રો ને પસંદ કરવામાં સમાજે ઘડેલા આદર્શો સાથે જીવનને સેટ કરવામાં જ સમયની રેખા ખૂટી જાય છે, સમાજે નક્કી કરેલા આદર્શો બધાં પર સમાન રીતે ભલે લાગું થાય પણ બધાં એને સમાન રીતે પૂર્ણ કરી શકે એ જરૂરી તો નથી અને મારા મંતવ્ય મુજબ સમાજે નક્કી કરેલા આદર્શોમાં જાતને ફીટ બેસાડવામાં સમય બગાડવો એ કરતાં આપણાં આદર્શ સાથે સંયોજન સાંધે એવું પાત્ર શોધવામાં સમય કેમ આ આપવો ! અને ના મળે ત્યાં સુધી એ લાઇફમાં અધૂરપ કેમ રાખવી ?! પણ હા, સાથે એ વાતનો એ ખ્યાલ રાખવો પડે આપણે વ્યક્તિ સાથે લગ્ન કરીએ છીએ કોઈ રોબોટ સાથે નહીં કે જે આપણી ઈચ્છા મુજબ જ ચાલે. ટુંકમાં, "બન્નેની ઈચ્છા સ્વભાવ અને સપનાંનો એવો સરસ સમન્વય થવો જોઈએ કે લગ્નજીવન સમજણથી દીપી ઉઠે." બધું પોતાનું ધાર્યું જ થાય એ અંહ સામેનાં પાત્ર સાથે સંબંધને એ ખોખરા બનાવી દેય છે. એડજેસ્ટ ( adjustment) કરવામાં "ના" એ તમારો સમજણ ‌વગરનો એટીટયુડ છે પણ કેટલી હદ સુધી બન્ને પક્ષ સમાયોજન સાધી ખુશ રહી શકે એ સમજણ પર આધારિત છે

ટુંકમાં, વ્યવસ્થા લચીલી કરવા પહેલાં વ્યક્તિએ પણ પસંદગીના વલણમાં જડતા ત્યજી થોડા બદલાવ અપનાવવો પડશેને સામેનું પાત્ર 100 % આપણને જોઈએ એવું ના જ હોય એ સ્વાભાવિકતાને સ્વિકારી ચાલવું જોઈએ, આદર્શ પાત્રની માન્યતા બદલવી એ વ્યક્તિ અને નૈતિકતા પર આધાર રાખે છે પરંતુ જો એરેન્જ મેરેજની પ્રક્રિયા થોડી લચીલી બનાવાય ને તો આરામથી પાત્ર શોધવાની માથાકૂટ, મહેનત ને સરળ અને સરસ બનાવી શકાય ..... કેવી રીતે ? એ ફરી ક્યારેક...!

Thursday, 4 November 2021

દિવાળી

"દિવાળીમાં ખરેખર ઘરની સફાઈ થાય અને ધૂળ મન પરથી ખંખેરાઈ." આ વાત મને આ વર્ષે જ સમજાય જ્યારે દિવાળી મનાવવા અને જાતે સફાઈ કરવાનું નસીબ ના થયું....
દર વર્ષે સફાઈ કરતાં હું અચૂક મોમ ને પૂછું મોમ આ સફાઈકામ અત્યારે જ કેમ ? જવાબો દર વર્ષે જુદા મળે ક્યારેક મજાક, ધમકી, કારણો, તો ક્યારેય સામે પ્રશ્ન. ને શરું થઈ જાય સફાઈ સાથે વાતોને દલીલો... ઘરમાં કયો ભાગ વધું ગંદો ક્યાં કેવી ચોકસાઈની જરૂર છે એ સાથે ઘણી ના કહેવાયલી મનમાં સાચવી રાખેલી વાતો એ વણાઈ જાય....હવે પછી શું કરવાથી ઘર સારું રહેશે નું આયોજન થાય અને ભુતકાળમાં આવા પ્લાનિંગ ના થયેલા કિસ્સાઓ એ જામે.... વર્ષ ભરની વ્યસ્તતામાં જે સમય સાથે ના માણી શક્યા હોઈએ સાથે ના વિતાવી શકેલા હરેક પળ જાણે વ્યાજ સહિત વસુલાત થાય..

કયું કામ‌ કોણ કરે ! કોની ચોક્કસાઈ વધારે! કોની પાસે નવા પ્લાનિંગ સારા હોય ! કોણ થાક્યા વગર વધું કામ કરી શકે ! આ બધાંમાં જાણે ઘરમાં વર્ષભર કોણ શું કરશે એ પણ નક્કી થઈ જાય. ઘરને જાતે સજાવવામાં સહુનાં હાથ મળેને ખરેખર હૃદયે દીવા ઝળહળે.. કંઈ વસ્તુ રાખવી ને કાઢવી એ બાબતે એ ફટાકડા ફુટે. નવી મજાની ગોઠવણી મનને રંગોળી જેવી મીઠી લાગે..... ને થાક્યા શરીર એ મનમાં આનંદ ભર્યો હોય એ જ સહિયારા સાથની ઉજવણી..

આ રીતે સફાઈથી શરું થતી દિવાળી ઘરની સાથે સંબંધને પણ ચમક આપી જાય... પરંતુ જો શરૂઆત સફાઈથી ના થાય તો ! ઘરની ધૂળ તો પૈસા ખર્ચીને સાફ થઈ જાય પણ સંબંધોમાં ? એનાં સફાઈ કરવા તો ત્યારે પણ મહેનત જ કરવી પડે બસ નવી રીતે !

નવી રીત અજમાવવી સહેલી હોય પરંતુ સ્વીકારવી થોડી અઘરી... પરંતુ આ પરિસ્થિતિને પરિવર્તન સ્વીકારી જે પરિવાર સંબંધોને ચમકદાર બનાવી શકે તહેવારોના ઉત્સાહને પરંપરાગત ઢબ બદલાવા છતાં જાણવી શકે ને નવી રીતે સ્નેહનાં સાથીયા પુરી શકે એ ઘરમાં બારેમાસ દિવાળી હોય...!

Tuesday, 14 September 2021

ઈમરજન્સી હેલ્પલાઇન

કાલે મમ્મીએ કહ્યું, 'ઘરની ઈમરજન્સી હેલ્પલાઇન છે તું જ્યારે કહીએ હાજર થઈ જવાનું..' સાંભળીને સારું લાગ્યું અને કેમ ના લાગે ! ૨૦૧૯ નાં વર્ષમાં મેં લીધેલા નિર્ણયનું જ આ પરિણામ છે ... ૨૦૧૯ નું વર્ષ શરૂઆત થી અંત સુધી પરિવર્તનનુ રહ્યું, આમાં સ્વેચ્છાએ એક પરિવર્તન આ પણ કર્યું હતું....

૨૦૧૯ની શરૂઆતમાં સામાજિક કામો એવાં આડે આવ્યા કે ભણવામાં ધ્યાન અશક્ય બન્યું અને સામે આવતી GPSC ની મેઈન્સની પરિક્ષા. પરિવારની સહમતીથી ગાંધીનગર પહોંચી ગઈ, એ પરિક્ષા પતેને પરિણામ આવે એ પહેલાં અંગત જીવનમાં તોફાન આવી ગયું. જાતને સંભાળી વિપશ્યના કરી હું ફરી મારા ધ્યેય તરફ આગળ વધવા ઉતસાહી બની. નવો જોશને ઉમંગે હું મારી મંજિલ તરફ પ્રગતિશીલ થઈ જ , અને ઘરમાં આભ ફાટ્યું ! 

વરસોથી એક હાથે ઘર ચલાવ્યું એનો થાક જાણે મોમના શરીર પર આઘાત બની તુટી પડયો. ડોક્ટરના નિરાશાજનક શબ્દો , "બીમારી જેણે મોકલી એ સારું કરશે હું વચ્ચમાં રાહત સિવાય કશું નહીં કરી શકું.." એ મારા જીવનમાં બે મહત્વના પરિવર્તન લાવ્યા પહેલું પરિવર્તન મંજિલ પહેલા કે પરિવાર એ નક્કી કરવાનો પ્રશ્ન જ ના હતો. આટલી બીમારીમાં મોમ‌ને મુકી એક પરિક્ષા આપવા જવું પડ્યું ખાલી એટલાં માટે કે મોમને મનદુઃખ ના રહે એ મનમાં મંજિલને એક ખુણો પકડાવી દીધો અને બીજું પરિવર્તન ફરી "ઈશ્વર પર વિશ્વાસ."ઈશ્વરે જ જાણે માર્ગ બતાવ્યો ને મમ્મીની શ્રધ્ધા અને હિંમતે અમે મુસીબતમાંથી બહાર નીકળ્યા.

તુફાન ગયાં પછી આત્મચિંતન કરતાં સમજાયું, હું ભાગી રહીં છું, મંજિલની દોડમાં જીવનમાં કશુંક બનવાની ધુનમાં ઘણી જવાબદારી, કામો મેં છોડ્યા.આ સભાનતા એ એટલી એ સમજ આપી મોમને રાહત આપવી ને એટલી સમજ તો હતી જ ઘરના નાજુક ખભાઓને ભાર ના સોંપાય પછી શું ! અપનાવી લીધું પરિવર્તન ઘરને સાચવવું , મોમના કામો એમને સાંભળવાને ઈશ્વર પર શ્રદ્ધા..આવા અમલથી ૨૦૧૯ પુરું થયું...

પણ જીવન તો અવિરત ચાલે છે. અધુરાં સપનાં સાદ કરે , ખેંચે છે પણ મને લલચાવવા નથી. ખબર છે એક વાર તૈયારી છોડ્યા પછી ફરીથી શરૂ કર્યું તોય હું રેસમાં બધાની ઝડપે ના દોડી શકું ને સફળતા એ નહીં મળે પણ મનને હવે એ પ્રત્યે થોડું ઉદાસીન છે ભલે પરિણામ ના મળે હું જ્યાં છું ખુશ છું... ગુમાવ્યું એ કરતા મેળવ્યું ઘણું છે જે દેખીતી સફળતા નથી પણ‌ આંતરિક ખુશી છે.

હવે મારે કોઈ એવી પરિક્ષા નથી આપવી જે મને જીવનની પરિક્ષામાં /સમીક્ષામાં નાપાસ કરે.... આ જરૂર પડે પહેલા મને લગાવાતો કોલ જ જીવનની સહુથી મોટી સફળતા છે ને હાજર રહી કામ પાર પાડું એ જ સહુથી મોટી ખુશી....☺️☺️

Monday, 13 September 2021

છે એ પ્રસંગો ધ્યાનમાં?!

પૂછે છે રસ્તાઓ શાનમાં, છે એ સ્મરણો યાદમાં ?!
બાળા મટી બની કિશોરી, છે એ પ્રસંગો ધ્યાનમાં ?!

પૂછે છે કેડીઓ કાનમાં, છે સહીયરો તારી યાદમાં ?!
સહિયારું હાસ્ય લહેરાતું , છે એ પ્રસંગો ધ્યાનમાં ?!

ભણતરનો ભાર મનમાં, ને મસ્તી ભરેલી સંગમાં ?!
રમવું, પડવું ને બધું શીખવું, છે એ પ્રસંગો ધ્યાનમાં ?!

સોડ ઉપસેલા હાથમાં, સજા ભોગવી જે સાથમાં‌ ?!
અબોલામાં વહેતાં આંસુડાં, છે એ પ્રસંગો ધ્યાનમાં ?!

થયાં'તા વાયદા વિદાયમાં, મળીશું ફરી રજાઓમાં ?!
પણ પરોવાયા સહુ ખીલે, છે એ પ્રસંગો ધ્યાનમાં ?!

Sunday, 29 August 2021

ડર

કોઈ ને કોઈ બહાનું શોધી,
મારામાં રોકાયા કરે...
આ ડર મને આમ ડરાવ્યા કરે..
ચાહુ ના ડરું હું...
શાને ડરવું મારે ! હિમ્મત છે ભારે...
કરી આ વિશ્વાસનો ઘાત 
ડર મારામાં મને જ હરાવ્યા કરે...
આ ડર સતત મને સતાવ્યા કરે....
તાર્કિક દલિલો ના હામ ભરે,
શાંત રહેવાનાં કોઈ તુક્કા ના કામ કરે,
ડર જ્યારે સામે આવે 
હૈયે જાણે કોઈ વાર કરે..
હારવું, ખોવું, જીવવું ને મરવું..
મળવું, છુટવુંને વિયોગને સહેવું...
પાર વગરની મુશ્કેલીનું આવવું...
કોઈનાં સાથ વગર એકાંકી તપવું...
અપાર કષ્ટને સહન કરીને જીવવું...
દુઃખ અને દર્દ સહિત મૃત્યુને પામવું...
બધું જ ડરામણું અહીં...
મોઘમ ઈશારે એવું કહ્યા કરે...
રચ્યો અભેદ ચક્રવ્યૂહ
'સહજ' એમાં ફસાઈ ટળવળે...
આ ડર કલ્પનાઓના રંગે બતાવે 
બિહામણું ચિત્ર કેવું !
ઉદાહરણ દ્વારા બતાવે એતો
થાય શું શું ને કેવું !
અનુભવ દ્વારા આપે જાણે 
ભાવિ હોય શકે કેવું !
આ ડર મને સતત 'જો અને તો ' ની રમતમાં,
ઊંધા માથે પછાડ્યા કરે..
પોતાનાં ભયાનક સ્વરૂપની 
નાની એવી ઝલકે 
આ ડર
આ ક્ષણમાં મને સતત 
મૂક્ત બની વિહરવાથી રોક્યા કરે.....
આ ડર મને સતત ડંખ્યા કરે..

Sunday, 6 December 2020

મારા બાળમાનસમાં બાબાસાહેબની છાપ...

બાબાસાહેબ આંબેડકર નિર્વાણ દિને આજ સવારથી પોસ્ટ જોઈ મગજ વિચારે ચડ્યું.... હું કેટલું જાણું છું એમનાં વિશે ? આનો જવાબ તો લિમિટેડ હતો પરંતુ એ સાથે જ મનનાં સ્મરણમાં ઘણું બધું આવી ગયું..
હું લગભગ ૫-૬ ધોરણમાં હતી ત્યારે પ્રથમ એક શાળાના ફોટા પર એમનું નામ જોયું. ઘરમાં આંબેડકર નામ ઘણી વાર સાંભળ્યું હતું પરંતુ પહેલીવાર ફોટો જોવાનો અવસર હતો એ...નીચે નામ સાથે ડૉ. હતું એ સમયે એટલી સમજણ તો હતી જ કે વધારે ભણવાથી ડૉક્ટર બનાય..

આપણાં લોકોનાં ઉધ્ધારક વગેરે ઘણું સાંભળ્યું પરંતુ વડીલોની વાતોમાં ગ્રામ્ય જીવનમાં પડતી મુશ્કેલીને પણ અનુભવી હતી..હા, હું અનુભવી હતી એમ જ કહેવાનું પસંદ કરીશ કારણ કે એમની આપવીતીમાં રહેલું દર્દ અમને પણ જાણે એ જ અનુભવ આપતું...ભલે રહેતા આદિવાસી વિસ્તારોમાં હતાં પરંતુ અસ્પૃશ્યતા જેવું થોડુંઘણું તો‌ હતું જ... ગામનાં નાકે રહેવાની પ્રથા અમારે ગામમાં એ હતી... કુવામાં પાણી ભરાવાથી લઈ ને ગામમાં પ્રવેશને ઘર બનાવવા સુધીનો સંઘર્ષ ઘરમાં ઘણી વાર ફરી વળતો... નાનું મારું મગજ હંમેશા દલિલ‌ માટે તૈયાર રહેતું કે ભલે એ લોકોને આપણાથી સમસ્યા તો પોતે અલગ કુવો કરે આપણને તો બધું સ્વીકાર્ય છે તો આપણે શા માટે પાણી ના ભર્યે..?

આ માહોલમાં જ્યારે બાબાસાહેબ વિશે જાણવાનું થયું તો કલ્પનાની પાંખે તમે ઘણું કર્યું તો અમારા વડીલોએ આ કેમ સહન કરવું પડ્યું એ સવાલ કરતી....જોકે એ સમયે સમયરેખાનું જ્ઞાન હતું નહીં... 
શાળાની પ્રવૃતિઓમાં વાંચન મારું  મનપસંદ, નવાં પુસ્તકો પ્રત્યે આકર્ષણએ વધારે , એમાં ક્યાંક બાબાસાહેબ વિશે વાંચવાનું આવ્યું . આ યાદ એટલાં માટે છે કે ૫-૬ ધોરણની છોકરીને પહેલી વાર વાંચતા ઉકેલવામાં મુશ્કેલી પડે એવી ડીગ્રીનાં નામો હતાં.. આ ઉંમરે મારો બહું સવાલ કરવાનો સ્વભાવ બદલાઈ કલ્પનાની સવારીએ અનુમાનથી કામ ચલાવવામાં બદલાયો હતો....મારા નાના મગજે બધું જોડી અનુમાન લગાડ્યું આમની ડીગ્રી નાં લીધે જ આમ કરી શક્યા અને હું પણ એવું જ કરીશ..

મારા બાળમાનસ ઘડતરમાં આ સાથે બીજી એક વાર્તા એ પણ ભાગ ભજવ્યો... ડૉ.બાબાસાહેબ અને એમના ડ્રાઈવરનો આ પ્રસંગ, ઉનાળાનાં દિવસોમાં એકલાં કેરી ખાવાનાં બદલે પોતાની સાથે જ  ડ્રાઈવરને પણ કેરી ખાવા આમંત્રીત કર્યા અને સાથે કેરીની લિજ્જત માણી...તે સમયે મારું માનસ વિચારતું આટલાં મોટાં માણસ થઈ આવું શું કામ કરવું ! ડ્રાઈવર ને કેવી અનુભુતિ થઈ હશે ! આવું ‌કરવાથી લોકો આપણી હાંસી નહીં ઉડાવે‌ ! પરંતુ આજે સમજાય છે જેમણે અસમાનતા સહન કરી હોય એ બીજાની સમાનતા પ્રત્યે વધું સભાન હોય...

એમનાં જીવનમાંથી ઘણું બધું શીખવા જેવું છે પરંતુ મેં એમનાં જીવનમાંથી લીધેલી પહેલી શીખ જે આજે એ સહુનાં ઉધ્ધાર માટે આવશ્યક લાગે છે, " Be educate " 

Friday, 13 November 2020

થોડું મારા વિશે.......


જેમ જેમ સમયની ચારણીમાં ક્ષીણ થતી જાવ છું એમ એમ સમયનાં અરીસામાં વધુ સ્પષ્ટ રીતે જોઈ શકું છું.જન્મદિન તો ઘણા આવ્યાને ગયાં વધતી ઉંમરથી જાતને શું માપવી ! હું તો માપું છું મારી જાતને ભુલો ને ભુલોમાંથી જીવનની લીધેલી શીખથી.

નિષ્ફળતા ઘણી મળી છે પરંતુ નિરાશ થઈ નથી..  સફળતા ઘણી મળી છે પરંતુ સંતોષ થયો નથી..જાતને જ્યાં છું ત્યાં જ સ્વીકારી શકવાની અને આરામ કરવાની થકાવટ આવી નથી. હજી તરબતર છું ઉત્સાહથી, જીવવાનાંને નવું કરતાં રહેવાનાં ઝનુનથી, એટલે જ મારી જાતને હું થોડી વધારે ગમું છું...

એવું એ નથી જીવનમાં કાયમ આ ઉત્સાહને સકારાત્મક ઊર્જા જળવાઈ રહે છે. ક્યારેક મને એ શોક, દુઃખ, ડર, નકારાત્મકતાના વાદળો નડે છે પરંતુ હું એવા સમયને બસ એક પ્રસંગ સમજી જવા દેઉ છું. રસ્તો છે જીવનનો ક્યારેક આવા પથ્થર તો નડે. પરંતુ ત્યાં જ અટકી જવું ! એવું નથી આવડતું મને, આવી ખુમારી કદાચ મોમના ઉછેરનો જ પ્રતાપ છે , બાકી હું અંદરથી બહું ડરપોક હતી. મોમના સાથ અને પ્રેમે જાણે મને જીવંત રાખી છે અને મારી બેને મુંજવણમાં રસ્તો બતાવવાનું નહીં મારા માટે ખુદ નવો રસ્તો બનવાનું કામ કર્યું છે.‌ ક્યારેક તો મને અંધકાર દેખાય ને એ મને ચાંદ બતાવે..

મને થોડી ‌વધારે ઘડી છે મારા ડીગ્રીના શોખ એ, હજીએ આ સફર ચાલુ છે. નવી નવી ડીગ્રી સાથે જ્ઞાન મળતું રહે ને લાગશે મારા જીવનનાં અર્થને હું સાર્થક કરું છું..
મારી વ્યસ્ત કે થકાવટ ભરી સમયની વાટમાં આરામની ક્ષણો લઇ આવે છે મને ગમતી પ્રવૃત્તિઓ. વાંચન, લેખન , ચિત્રો ને ઈતિહાસ. વાંચનની આદતે મને જડતાં ત્યજી વધું વિસ્તૃત બનાવી છે મારી સૃષ્ટિને જોવાની દ્રષ્ટિ સુધારી છે. લેખનના શોખે  માતૃભાષાને વધું નજીકથી જાણવા અને નવું જ્ઞાન મેળવવા લલચાવી છે તો લેખનથી મળતી માનસિક હળવાશે મને કાયમ શબ્દોથી જોડી રાખી છે. જ્યારે પણ એક જ ઢાળમાં ચાલતાં જીવનથી કંટાળો આવે હું રંગો ને પેન્સિલ પકડી લઉં એમાં નવું શીખવાનું અપ્રત્યક્ષ હોય છે અને દોરવાનો અલોકિક આનંદ. ઈતિહાસમાં મારો રસ એ મને અભ્યાસની સાથે સાથે વ્યસ્ત અને જટીલ ડીગ્રીની દોડને સરળ બનાવવામાં સહાયરૂપ થાય છે..

હું મારા શોખોમા ભરપુર જીવું છું અને હા, આ જ ક્ષણે ભરપુર જીવું છું. જીવન અનંત નથી હું અનંત નથી ક્યારેક તો ખતમ થઈ જઈશ એ સ્વીકારી જીવું છું.
મારા જીવનને દુરથી કે પાસેથી જોનારને ધણી અધુરપ અને મુર્ખામી દેખાતી હશે. પરંતુ એ ક્ષણમાંથી શીખીને પસાર થઇ હું આ ક્ષણમાં જીવું છું.....

મારા જીવનનાં રસ્તામાં કંટક બનેલાં, પુષ્પ બનેલાં, વિરામનું વૃક્ષ બનેલા કે વિધ્ન બનેલા કે સહચર બનેલાં સહુની હું હૃદયથી આભારી છું....
આ રસ્તામાં હજી એ નવા મુકામ આવશે, નવા સંબંધો જોડાશે, નવી સિધ્ધીઓ આવશે બસ નહીં આવશે તો વિતેલી ક્ષણો અને આ વિતી રહેલી ક્ષણો...બસ આ ક્ષણમાં જીવંત રહું હું એ જ કાયમની અભિલાષા....
આભાર...મને વાંચવા માટે .. 🙏☺️🙏
તમારું જીવન નીતનવી ખુશીથી ભર્યું રહે એ જ પ્રાર્થના..


 

Thursday, 1 October 2020

ફરી આવો ને બાપુ !


"મારું જીવન એ જ મારો સંદેશ છે.

બાપુ, તમારી વાતમાં મર્મ હજાર છે.

સંદેશની સાથે સહુના સ્વાર્થ બેલગામ છે.

આજ તમારા ભારતને ફરી તમારી જરૂર છે."

આજે પણ જેમનો સંદેશો મૂંઝવણની રાત્રીમાં "ધ્રુવ તારા" સમાન છે એવા આપણા સહુના લાડીલા બાપુ, ભારતના રાષ્ટ્રપિતા અને વિશ્વના પથદર્શક એવા   "મહાત્મા ગાંધીજી" ને મળવાનું કોને ન ગમે ! 

ખાસ કરીને એમના મૃત્યુના ૭૩(તોતેર) માં વર્ષે, બદલાયેલું વિશ્વ અને બદલાયેલી સમસ્યા જો ગાંધીજી જીવતા હોય તો તેમનો દ્દષ્ટિકોણ કેવો હોય ! આ જિજ્ઞાસા થયાં જ કરે. આં સમયે વિશ્વના મહાનાયક અને અહિંસાના સેનાની સાથે વાત કરવાની કલ્પના જ મનને રોમાંચિત કરી મૂકે છે.

બાપુ, આજનાં મોટીવેશનલ સ્પીકર રોબિન શર્મા તેમના પુસ્તકમાં "તમારા મૃત્યું પર કોણ આશું સારશે ?" આં પુસ્તકમાં સમસ્યાના સમાધાન માટે ઇતિહાસમાં થઈ ગયેલા મહાન ચિંતકો સાથે ધ્યાન અવસ્થામાં વાતચીત કરી સારા સારા સમાધાન તરફ જવાની કલ્પના રજૂ કરે છે. અત્યારે તમારી સાથે વાત કરતા મને એવું જ લાગી રહ્યું છે જાણે શ્રેષ્ઠ સમાધાનની કેડી મારા આંગણે આવી ને ઊભી છે.

બાપુ, વિશ્વ અત્યારે કોવિડની મહામારીનો સામનો કરી રહ્યું છે ત્યારે મને યાદ આવે છે કે જોહનિસબર્ગમાં ફેલાયેલી કાળી મરકી વખતે તમે તરત જ કેવી સેવા શરૂ કરી હતી ! સરકારની પહેલની રાહ જોયા વગર ! અને સ્વયંસેવક બનનારનું પરિવાર ના હોય એ પણ નિશ્ચિત કરી નૈતિકતા દર્શાવી હતી. રાજકોટમાં તો આરોગ્ય વિભાગ સાથે મળી સ્વચ્છતા પર ધ્યાન આપવા કામ ઉપરાંત, સહુપ્રથમ અસ્પૃશ્યોના નિવાસમાં જવાની પણ  
પહેલ કરી હતી અને ઘણા સુધારાઓ પણ સૂચવ્યા હતા. બાપુ, આજે તમે હોત તો ! આ મહામારી વિકરાળ બની લોકોને ભરખી રહી છે. વધતા મૃત્યુદર, સંસાધનો અને માણસોની કમીથી મજબૂર આરોગ્ય વિભાગ, લોકો ફરિયાદમાં અને સરકાર પોતાના બચાવમાં વ્યસ્ત છે. મહામારીનાં સમયે પણ આં એક ભારત એક જૂથ થઈ લડતું નજર નથી આવતું. આજ તમારી એક હાકલની ફરીથી જરૂર જણાય છે.

આં સાથે સ્વસ્થ જાગૃતિના અભિયાનમાં પણ તમારા માર્ગદર્શનની જરૂર જણાય છે. ભોજનમાં આરોગ્યવર્ધક પ્રયોગો, પાણી અને માટીનાં પ્રયોગો, શાકાહાર માટેનો દ્રષ્ટિકોણ, ઉપવાસનું મહત્વ જે દેહ શુદ્ધિથી લઈને આત્મશુદ્ધિ તરફ લઈ જતા હતા.આવા વિરલ પ્રયોગોના સફળ અમલ ગાંધીજી જ કરી શકે. બાપુ, આજે બદલાયેલી જીવનશૈલીમાં સ્વાસ્થ પ્રત્યે ધ્યાન એ ગૌણ બાબત છે. ખોરાકમાં પરેજી એ લોકો માટે અવાસ્તવિક છે. તમારા આદર્શ પર ચાલી   "૬૧ માં"   વરસે દાંડીકૂચની કૂચ કરી શકે એવા નેતા તો નથી જ રહ્યા પરંતુ સ્વાસ્થ શરીર પણ નથી રહ્યા.

"આર્થિક સમાનતાનાં મજબૂત પાયા પર

કાર્યક્રમનું ચણતર ન કરવામાં આવે તો તે

રેતી પર બાંધેલી ઇમારતો જેવું નીવડશે"

તમારી આં ચેતવણી આજે સાચી પડી રહી છે. ભારતનો ગરીબ મજૂર વર્ગ અચાનક લાચાર બની ને ઊભો છે. મહામારીના સંક્રમણનાં ડર કરતાં રોજ શું જમવું ? એમની માટે એ પ્રશ્ન બહુ મોટો છે. સરકારની કરોડરજ્જુ પણ આં  લોકડાઉન અને બંધ અર્થવ્યવસ્થાથી ભાંગી આધાર શોધે છે. બાપુ, તમે તો તે સમયનાં "ભારતનાં વ્યવહારુ અર્થશાસ્ત્રી" કહેવાયા હતાં. ગરીબો સાથે ગરીબોનાં લિબાસમાં ઊભા રહી એમના રાહબર બન્યા હતા. બાપુ, તે સમયનો તમારો "યંત્રોની ઘેલછાં સામેનો વિરોધ અને યંત્રોનો સ્વીકાર" આં મિશ્રિત વાત અમલમાં મુકવા સરકાર એ પ્રયત્ન કરી રહી છે. સ્કીલ ઇન્ડિયા, સ્ટાર્ટ અપ ઇન્ડિયા, મનરેગા જેવા પ્રોગ્રામો ચાલુ છે. સ્વાવલંબનનો અને સ્વદેશનો આદર્શ "આત્મનિર્ભર ભારતમાં" ઝલકી રહ્યો છે પરંતુ દરેક કાર્યક્રમોના અમલમાં તમારા જેવા કર્મનિષ્ઠ અને નૈતિક વ્યક્તિની કમી ઉડીને આંખે વળગે છે.

બાપુ, શિક્ષણક્ષેત્રની હાલત પણ શ્રેષ્ઠ કક્ષાની કહી શકાય એવી તો નથી જ. જૂના નવા પ્રશ્નો ભેગા મળી અંગ્રેજોનાં સમયની ખખડધજ શિક્ષણ વ્યવસ્થાથી ભારતની ઈમારતોની મજબુતાઈ સમા યુવાધનને ખોખલા બનાવી રહી છે. બાપુ, તમે કહ્યું હતું કે,

"હિંદમાં જ્યાં એંશી (૮૦) ટકાથી વધુ વસ્તી 

ખેતીમાં જોડાયેલી છે ત્યાં કેળવણી અક્ષરજ્ઞાનની

જ આપવી અને બાળકોને ભણતર પૂરું કર્યા પછી

શારીરિક શ્રમ માટે નાલાયક બનાવવા એ ગુનો છે."

પરંતુ, ખેડૂતનાં શિક્ષિત પુત્રને ખેતી કરવામાં શરમ આવે છે ! અને વળી આજનું શિક્ષણ પગભર થવાની કલા પણ નથી શીખવતું !બાપુ, તમારા મતે...

"ભૂખે મરતા કરોડો માણસોની ભૂમિમાં

આપી શકાય એવી પ્રાથમિક કેળવણી એ

હસ્તકલા કૌશલ્ય છે અક્ષરજ્ઞાન તો એ પછી આવે"
 
 પરંતુ, આજે ઉચ્ચ શિક્ષણ સુધી નકરી ગોખનપટ્ટી જ  છે. ઈતરપ્રવૃત્તિ કે વાસ્તવિક જીવનમાં કામ લાગે એવી પ્રવૃત્તિના અભાવના પરિણામે ગરીબી, ભ્રષ્ટાચાર, ગેરલાયક અધિકારી, લાગવગશાહી, શિક્ષક માત્ર પગારદાર બની રહ્યા છે આં બધી સમસ્યામાં ઓનલાઇન શિક્ષણ નવું ઉમેરાયું.! બાપુ, આં સમયે તમે હોત તો ! ફિનિક્સ આશ્રમથી લઈ સાબરમતી આશ્રમ સુધીનાં સ્વાવલંબન, નૈતિકતા શિષ્ટ જેવા આદર્શની ફરી જરૂરિયાત જણાય છે. ગ્રામોદ્યોગ, હસ્તકલાની જરૂરિયાત બદલાતા યુગમાં વાસ્તવિક બનાવવામાં તમારો હાથ જોઈએ છે. અંગ્રેજી ભાષાનાં અતિક્રમણમાં ભાષા શિક્ષણને  તમારું પીઠબળ જોઈએ છે. બાપુ, બેકારીનું કેવું સરસ સમાધાન હતું તમારી પાસે,

"ઉદ્યોગોને ઈજનેરની જરૂર  હોય તો તે જાતે 

જ સરકારની દેખરેખ નીચે કોલેજ ચલાવે."

        શિક્ષણ અને જરૂરિયાત આ રીતે જ ચાલે એવું તમારું સૂચન હતું. પરંતુ બંને અલગ થઈ ગયા અને બેરોજગારીની મુંજવણ સામે ફરી તમારી સલાહ જોઈએ છે.

શિક્ષણ મેળવવા વાંચન એ અનિવાર્ય છે અને જીવન ઉપયોગી પણ. તમારા જીવનમાં વાંચનનું કેટલું મહત્વ હતું. મનુસ્મૃતિમાંથી વિદ્યાર્થી વયે લીધેલી શીખ "જગત નીતિ ઉપર નભેલું છે. નીતિમાત્રનો સમાવેશ સત્યમાં થાય છે." માતાને આપેલું શાકાહારનું વચન પાળવા  વિલાયતમાં તમે એ અંગે કરેલા વાંચનમાં હવર્ડ વિલિયમ્સના "આહાર નીતિ" તમારા જીવનમાં અસર, ધાર્મિક પુસ્તકોનાં વાંચનથી સમજ વધારનાર ગીતા, આનાર્લ્ડનું બુધ્ધચરિત્ર ને બાઈબલનો ગમેલો અને જીવનમાં ઉતારેલા સંદેશ   " કોઈ તમને ડાબા ગાલ પર તમાચો મારે તો જમણો ગાલ ધરવો" તો વકીલાતના કામ દરમ્યાન તમારો જીવન દૃષ્ટિકોણ ઘડનાર ટોલેસ્ટોય, "વૈકુંઠ તારા હ્દયમાં છે." અને રિસ્કિનનું, "અનટુ ધિસ લાસ્ટ" પુસ્તકની અસર ખૂબ સારી રીતે તમે "સત્યના પ્રયોગો" મા વર્ણવી છે પરંતુ આજના વિદ્યાર્થી કે લોકો પાસે વાંચવાનો સમય નથી ! વાંચવાથી વધતો અલગાવ એ ભારત અને માનવજાત માટે હાનિકારક સિદ્ધ થશે. બાપુ, "વાંચન દ્વારા જીવન જીવનપરિવર્તનની" આગવી જીવંત શ્રેણી લખવા તમે આવી ના શકો !

બાપુ, આજે સ્ત્રીને શિક્ષણ આપવા માટે લક્ષ્મીબોન્ડ અને અનામતની નીતિ એ એટલી કારગર નથી નીવડી જેટલી તમારી હાકલ હતી. સ્વતંત્ર જીવન અને રાજનીતિમાં હજી પણ સ્ત્રીઓ પુરુષોનો પડછાયો માત્ર છે. નોકરીની ઘણી તકો વચ્ચે " સ્ત્રી છે " ના ફાયદા કરતાં ગેરફાયદા વધુ. સ્વતંત્ર કામ કરવામાં સબળા કરતાં અબળા બનાવતા તત્વો વધારે. બળાત્કાર, હત્યા, દહેજ, ઘરેલું હિંસા એ તો આજનાં રોજિંદા સમાચારનાં ભાગ ગયા છે. બાપુ, તમારા સાનિધ્યમાં તો કસ્તુરબા થી લઈ પૂર્ણિમાબેન, સરોજિની નાયડુ જેવી નારીઓ સાથે ભારતની સામાન્ય નારીઓ પણ સ્વતંત્ર સંગ્રામમાં ભાગ લઈ ભારતનાં ઇતિહાસમાં વીરાંગના બની અમર થઈ. આં બાબતે " કરશનદાસ માણેકે " ખૂબ લખ્યું છે,

"ન બેમ્યાન છુરી જેણે કદી ઝાલી જાણી

બની એવી અબળાઓ છે અંબા-ભવાની"

આજની પરિસ્થિતિ ઉદ્ધાર માટે ફરી આપ જેવા મહામાનવનું નેતૃત્વ ઈચ્છે છે. સ્ત્રીઓને રાજકારણમાં લાવનાર તમે હતા પરંતુ આજે બદલાયેલી રાજનીતિ સ્ત્રીઓના મતબેંક અને પ્રચાર માટે ઉપયોગ કરવામાં જ મગ્ન છે.વૈભવી જીવનશૈલી, કાળા નાણાં, રાષ્ટ્રીય હિત પછી પહેલા સ્વહિત. આવા નેતાઓથી ભારતની લોકશાહી દુનિયાની સૌથી નિષ્ફળ વ્યવસ્થા બનવાનાં આરે આવી ઊભી છે. રાજનીતિમાં ધર્મનો ઉપયોગ મત લેવા માટે થઈ રહ્યો છે.

"સહુને રામરાજ્ય સ્થાપવા કરતા રામમંદિર બનાવવામાં વધારે રસ છે."

       આમાં ભારતની વિવિધતા એકતાની તાકાત ક્ષીણ થઈ રહી છે અને અમારી નિષ્ફળતાની રેખા લંબાવે છે.  ગામડાં એ આપણી પ્રગતિના મૂળ આધાર છે.

"ભારતનો આત્મા ભારતના ગામડાઓમાં વસે છે."

પરંતુ આજે ગામડાં સુધી ખુરશીની રમત પહોંચી ગઈ છે.પંચાયતી રાજની વ્યવસ્થા ગામડાંને સધ્ધર કરવાને બદલે અમુક લોકોને જ સધ્ધર બનાવવાનું સાધન બની ગઈ છે.ચૂંટણી પેલા હાથ જોડી આવતા અને ચૂંટણી પછી હાથ જોડી બહારનો રસ્તો બતાવતા લોકનેતાઓથી લોકો પરેશાન છે.

"અમને આશિષ આપ

કે સેવક ને મિત્ર બનીને

જે જનતાની અમે સેવા કરવા ઇચ્છીએ છીએ

એમનાથી અલગ ના થઈ જઈએ

અમને નમ્રતાની સાક્ષાત મૂર્તિ બનાવ

જેથી આ દેશ ને

અમે વધારે સમજીએ ને વધારે પ્રેમ કરીએ..."
 

બાપુ તમારી હૃદયકુંજ પ્રાર્થનાંના અંશો, દુનિયાની શ્રેષ્ઠ નેતૃત્વકક્ષાનાં ભાવો પ્રગટ કરે છે પણ હવે માત્ર મુલાકાત અને પ્રદર્શનનો ભાગ છે. આજે દેશને અને વિશ્વને ફરી "હૃદયકુંજની પ્રાર્થના" સાર્થક કરે ને

"સત્ય અને અહિંસા જેવા સાધનો અબોધ

પ્રજાનાં હાથમાં મૂકી હિમાલય જેવી ભૂલ કરી છે."
 

કબૂલી ઉપવાસ કરનાર રાજકીય સંન્યાસીની જરૂર જણાય છે.

રાજનીતિ, ધર્મ, ઈશ્વર, માનવતા, સેવાનો સમન્વય કરી ભારતમાં તમે રાજનેતાની અલગ જ નીતિ સ્થાપી હતી. વિશ્વ આજે એનું પ્રશંસક છે પરંતુ અનુયાયી નહિ. બાપુ, તકલીફ એ છે કે "સ્વચ્છ ભારત અભિયાન" કે, "મનરેગા" ચલાવી શક્યે પરંતુ નહેરૂજી એ તમારા વિશે પોતાના લખાણમાં કહ્યું છે એમ,
                                  "હિંદનાં લોકોની નિષ્ક્રિયતા સામે લડવામાં સૌથી વધુ ફાળો આપનાર"
નેતાની કમી એ અમારી સૌથી મોટી ખામી બનીને ઉભરી આવે છે.

રાજકીય ગુણવત્તા ની સાથે સાથે પ્રેસએ પણ પોતાની ગુણવત્તા ગુમાવી છે. ફેક ન્યૂઝ, ટીઆરપીની રેસ, ન્યુઝનું અતિક્રમણ જેવી અનૈતિક વાત આજના છાપા અને ચેનલો માટે તો સામાન્ય થઈ ગઈ છે અને નવાઈ ની વાત તો એ છે કે, દર્શકોને પણ આમાં જ મજા આવે છે. આવા સમયે બાપુ, તમારી ટકોર યાદ આવે છે,

"પ્રેસની આઝાદીનો મતલબ એ નથી કે

જનતાના મનમાં ઝેરીલા વિચારો પેદા કરે, સાથે

વાંચનારાઓ ને પણ ચેતવણી આપીશ કે એમાં

છપાયેલી કહાનીઓ એમના ઉપર સહેલાઈથી

અસર ના પડવા દે."
 

બાપુ, આં ટકોર કેમ ની અમલ કરવી ? બદલાયેલી પરિસ્થિતિ તમારા પ્રત્યક્ષ માર્ગદર્શન વગર ઘણી ધૂંધળી લાગે છે. બાપુ, તમારું વ્યક્તિત્વ જ એવું વિરલ હતું કે તમારા સલાહ સૂચન વિના  ભાવિ અઘુરું જ લાગે.   ખુદ આઇન્સ્ટાઇને પણ  કહ્યું હતું કે કઈંક આવુ  જ આપના વ્યક્તિત્વ વિશે, જે વાત મને અહી ઉલ્લેખ કરવાનું મન થાય છે,

 "આવનારી પેઢી ભાગ્યેજ માની શકશે

કે આવો કોઈ માણસ, હાડમાંસથી અને

રક્ત નો બનેલા આં પૃથ્વી પર ચાલ્યો હશે'

દુનિયાને તમારી જેમ પોતાના સિદ્ધાંતોને વળગી રહેનાર બીજું કોઈ ભાગ્યે જ મળશે.

        કોણ માનશે વિશ્વ જ્યારે હિંસાની આગમાં લપેટાય બે-બે વિશ્વ યુદ્ધ અને નાના-મોટા યુદ્ધોમાં હોમાય ચૂક્યું હતું ત્યારે એક માનવીએ અન્યાય નો વિરોધ કરવા બંદૂક  અને તોપ ભર્યા બ્રિટિશ સામ્રાજ્ય સામે "સત્ય અને અહિંસા" ના હથિયાર ઉઠાવ્યા હતા. કોણ માનશે કોલકત્તાના "ગાંધીને મારો મારો" પુકારતા ટોળા  સામે તમે,  "લો મારો, હું આ રહ્યો."  કહી ઊભા રહ્યા હતા.

બાપુ, નહેરૂજીએ કહ્યું હતું "ગાંધીજી જેવી દઢતાથી સત્યને  વળગી રહેનાર એક પણ માણસ મેં નથી જોયો" બાપુ, આજે વારસો પછી પણ તમારા જેવા સત્યને ટેકાવાળો કોઈ  માણસ નથી થયો. આજે તો કહેવાય છે,

                                                      "તમે સત્ય કહો ને હું ગાંધી સમજું"

બાપુ, બ્રિટિશ સામ્રાજ્ય જેનો સૂર્ય ક્યારેય અસ્ત ના થતો, એ વૈભવની અટારીએ તમે ૧૯૨૧માં અપનાવેલી પોતડી પહેરી પહોચ્યાં "અર્ધનગ્ન ફકીર" નું સંબોધન કરનાર ખુદ જ વગોવાયા ! તમારા વિશે માઉન્ટ બેટનએ ઉચિત જ કહ્યું છે કે,

"જે ગાંધી ને ભારત સોનાંની ચમચીમાં

ખવડાવવા ને સોનાથી નવાજવા તૈયાર છે

એ ગાંધી તૂટેલી એલ્યુમિનિયમની ચમચીથી

ખાય છે, કદાચ એટલે જ તે મહાત્મા છે."



સત્ય, અહિંસા અને સાદગી ઉપરાંત જીવનભર તમારા વ્યક્તિત્વનો ભાગ રહ્યા એવા બીજા બે ગુણો કરકસર અને સ્વાવલંબન છે. ઇન્ડિયન ઓપીનિયનથી લઈ નવજીવન તંત્રમાં તમે જે કરકસરની જે રીત અજમાવી હતી આજે પણ કોઈક માણસ એ રીતે સંચાલન કરી જુવે તો સમજાય, બાપુનો મેનેજમેન્ટ પાવર કેવો સરસ હતો ! સ્વાવલંબન કસોટી તો જીવનમાં પળેપળ આપી છે. જેલમાંથી તાર કરવો કસ્તુરીબા એ પરંતુ ખર્ચનું શું ? સાડી વેચી દીકરાને યાદ કરવાનું મૂલ્ય ચૂકવ્યું. દક્ષિણ આફ્રિકામાં સેવા કરી પરિવાર સહિત વિનામૂલ્યે અને વિદાય સમારોહમાં મળેલા ઘરેણાં પણ દાન કરી આવ્યા. આ બધામાં તમારી પ્રાર્થના શકિત, જેના સંચારથી તમે ભારતભરમાં સત્યાગ્રહનાં કાર્યક્રમો સફળ બનાવ્યા હતા જે વિશ્વમાં આજે પણ વખણાય છે.

બાપુ, હું તમને એક વિનંતી કરી શકું ? તમારા બતાવેલા રસ્તે ભારતને ચાલવું અવાસ્તવિક લાગ્યું પરિણામે આજે ભારતની વાસ્તવિક સ્થિતિ બગડી છે. ઈ. સ. ૧૯૨૦ માં તમે કહ્યું છે,

"જેમ સારામાં સારા અસ્ત્રો નાદાન હજામ ના હાથમાં

કઈ કામના નથી તેમ સારામાં સારું બંધારણ સ્વાર્થી

કે અજ્ઞાની માણસોના હાથમાં નકામું થઈ પડવાનું છે."

તમારી વાત આજ સાચી પડતી જણાય છે. તમને ગોળીએ વિંધ્યાની સભા મળતી જણાય છે. વિશ્વના શ્રેષ્ઠ બંધારણમાનું એક જેને અમે અબોધ પ્રજા સાવ નકામું સાબિત કરી "ઠોઠ નિશાળિયા" સાબિત થઈએ એ પહેલા હાથમાં લાકડી લઈ માર્ગ ચીંધવા તમે આવશો ને બાપુ ?

"ગાંધીએ આહવાન કર્યું ને હિન્દુસ્તાન ખીલી ઉઠ્યું"

ફરી કોઈ ટાગોરની આવો શબ્દ બોલી ઉઠે, ફરી વિશ્વને નવી રાહ મળે, ફરી ભારતને "ભારતનો આત્મા" મળે, ફરી ભારતીયોને બાપુ મળે, એ માટે ફરી આવોને  બાપુ !

 

Saturday, 29 August 2020

ઘર કે જેલ ! શું લાગ્યું કોરોનામાં?


ઘર....કેવી અદભૂત લાગણીઓનો સમુદ્ર ! પરંતુ કોરોના અને લોકડાઉનમા શું થયું ? માણસજાતને એક નવી વાત શીખવા મળી... પોતાનું ઘર એ દરેકનું સપનું હોય... મનગમતું પોતાનું ઘર વસાવી લીધા પછી એ માણસ એમાં ૨૪ કલાક પુરાઈ રહેતા અકળાઈ છે.....અજીબ કહેવાય નહીં ! જે મધ્યમવર્ગના લોકો પોતાના જીવનની અડધી ઉપર ઉંમર ગમતું પોતાનું ઘર વસાવવામાં લગાવે છે એ ઘરમાં કાયમ રહેવાતું નથી..તો આ બધું શું કામ..! મતલબ એવો જરાય નહીં કે બધું છોડીને નીકળી પડ્યે..પણ આ પરથી એવી શીખ તો ચોક્કસ લઈ શકાય કે બધું પકડીને જ ના બેસી રહેવાય..... મધ્યમવર્ગીય લોકો માટે ખાસ ઘર વસાવવામાં જીંદગીભરની પૂંજી લગાવો એના કરતાં લાગણી નિર્મળ રાખી પૂંજી કોઈ બીજા સારા કામમાં લગાડો ..... જો સમજીએ તો આ કોરોના આપણને બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ ક્યાં કરવું એ શીખવવા આવ્યો છે..અને સ્માર્ટ માણસ થઈ આપણે આવો શીખવાનો અવસર કેમ જવા દઈએ !
એકબીજાથી અલગ રહેવું શું હોય, એક જ જગ્યાએ સતત રહેવું કેવું હોય, પરિવાર ખાતર જાતની કાળજી રાખવી કેટલી જરૂરી, કેટકેટલું શીખવ્યું છે.! કદાચ આ પરિવર્તનની હાકલ છે જીવનનાં બદલાયેલ ધ્યેયની ને વધતી ભૌતિક સુખ સામે પ્રકૃતિની ચેતવણી છે..
બેફામ સાહેબની સીધીસાદી સલાહ અનુસરવાનો આ સમય છે


"ચાર દિનની જિન્દગીમાં ઘર તો ક્યાંથી થઇ શકે ?
વિશ્વને ‘બેફામ’ ખાલી છાવણી કરશું અમે."


અનંત જીંદગી હોય તો જીવવાનો એ કંટાળો આવે અદ્દલ ઘરમાં રહેવાનો આવ્યો એમ જ....મોત છે તો જીંદગી વ્હાલી લાગે છે ... બહાર નીકળવું પડે છે એટલે ઘર વહાલું લાગે છે..


 

ભાવિ

"ભવિષ્ય કેવું જોઈએ એ તમારા હાથમાં છે" 
બધા જાણે છે આ વાત 
પરંતુ, 
આપણા હાથે ભાવિ "કેવી રીતે ?" અને "કેવું ઘડવું ?" 
એ નક્કી કરવામાં ઘણા થાપ ખાઈ જાય છે 

 

સ્વીકાર

દરેક સમયે પરિસ્થિતિ બદલવાના પ્રયત્નો જરૂર નથી, અમુક સમયે પરિસ્થિતિને સ્વીકારી આગળ વધવું પણ જરૂરી હોય છે.....

 

જીવન શાળા

જીંદગીની નિશાળ કોઈને અભણ નથી રાખતી અનુભવની ટપલી મારી મારીને શીખવે છે..
 

 

આજ

આજની પરિસ્થિતિ તમારા માટે સમસ્યા બનશે કે તક એ તમારે નક્કી કરવાનું છે. "

પરિવાર

 

પરિવારની ચિતાં થતી હોય તો દરરોજ પરિવારની થોડી કાળજી લેવાની શરુઆત કરો...

આત્મવિશ્વાસ

"સક્ષમ છું હું શું કરવા?" એ જાતને ખબર હોવી જોઈએ.. 

"સક્ષમ છું હું ધાર્યું કરવા" એ આત્મવિશ્વાસ હોવો જોઇએ..

સવાલો

 જીંદગીનો કોઈ સવાલ અઘરો નથી હોતો બસ આપણાંમાં જવાબ શોધવાની આવડત નથી હોતી...

રાષ્ટ્રીય તહેવારોની ઉજવણીએ મારું મનોમંથન

 26 જાન્યુઆરી 2026 — ભારતનો 77મો ગણતંત્ર દિવસ. આજના દિવસે મનમાં અનાયાસે એક પ્રશ્ન ઊભો થાય છે — શું આજની પેઢી ખરેખર સમજી શકે છે કે આઝાદી શું ...