Showing posts with label લેખ. Show all posts
Showing posts with label લેખ. Show all posts

Tuesday, 6 January 2026

ભક્તિ આંદોલનમાં મીરાબાઈ

મીરાબાઈ : સ્ત્રી ચેતનાનો અનન્ય અવાજ


સાતમીથી સત્તરમી સદી દરમિયાન ભારતીય ઉપખંડમાં હિન્દુ અને મુસ્લિમ સંસ્કૃતિના સમન્વયના આધારરૂપે સૂફિ–ભક્તિ આંદોલન વિકસ્યું. આ આંદોલન માનવમાત્રમાં ઈશ્વર પ્રત્યેના પ્રેમ, સમર્પણ અને સમાનતાનો સંદેશ આપે છે. અયનાર, નયનાર અને મધ્યકાલીન સંતોએ આ પરંપરાને વિશિષ્ટ ઊંચાઈ આપી. આ જ પરંપરામાં રાજસ્થાનની મહાન સ્ત્રી સંત મીરાબાઈનું પ્રદાન અતિ મહત્ત્વપૂર્ણ છે.


મીરાબાઈ 15મી સદીમાં વૈષ્ણવ ધર્મની સગુણ ભક્તિના સ્ત્રી પ્રતિનિધિ તરીકે ઊભરી આવે છે. ઈ.સ. 1498માં રાવ રતનસિંહના કુળમાં તેમનો જન્મ થયો. બાળપણથી જ દાદાના એક વાક્યથી પ્રેરાઈ મીરાએ શ્રીકૃષ્ણને પોતાના પતિ સ્વરૂપે સ્વીકારી લીધા. મેવાડના રાણા સાંગાના પુત્ર ભોજરાજ સાથે તેમના લગ્ન થયા છતાં તેમનું ચિત સંપૂર્ણપણે કૃષ્ણમાં જ લીન રહ્યું.


સંત રૈદાસ જેવા ગુરુઓના માર્ગદર્શનથી મીરાની કૃષ્ણભક્તિ વધુ દૃઢ બની. વૃંદાવન અને દ્વારકાની દંતકથાઓ તેમની અનન્ય ભક્તિની પરાકાષ્ઠા દર્શાવે છે. 16મી સદીના સામંતશાહી, પિતૃસત્તાત્મક અને રૂઢિવાદી રાજપૂત સમાજમાં મીરા ભક્તિ સંપ્રદાયની એક અનન્ય સ્ત્રી પ્રતિનિધિ તરીકે સામે આવે છે. પતિને પરમેશ્વર માનવાની પરંપરામાં મીરા પરમેશ્વરને જ પતિ સ્વરૂપે સ્વીકારે છે, જે પુરુષપ્રધાન સમાજ માટે એક ખુલ્લો પડકાર હતો.


સતી પ્રથા ગૌરવરૂપ ગણાતી એ સમયગાળામાં મીરા ભક્તિના માર્ગે ચાલીને આ પ્રથાને નૈતિક રીતે પડકારે છે. આ રીતે મીરા માત્ર ભક્ત નહીં પરંતુ સામાજિક વિદ્રોહી સ્ત્રી ચેતનાનું પ્રતિબિંબ બને છે.


સગુણ ભક્તિના ગાયન, વાદન અને નર્તન – આ ત્રણેય તત્વોનો સુમેળ એટલે મીરાબાઈ. કરતાલ અને એકતારો સાથે કૃષ્ણભક્તિમાં લીન મીરા આજે પણ લોકકથાઓમાં જીવંત છે. માંડ, ગુજરી અને મારું જેવા લોકરાગોમાં ગવાયેલા તેમના પદો સંગીત અને અર્થબોધનો સુંદર સમન્વય કરે છે.


મીરાના પદો મીરાંની પદાવલી, પદ પ્રણાલિકા, ભક્તમાલ તથા વૈષ્ણવ સંપ્રદાયની પાંદુલિપિઓમાંથી પ્રાપ્ત થાય છે. મોટાભાગના પદો વજ્ર રાજસ્થાની બોલીમાં રચાયેલા છે, જે લોકબોલીથી નજીક હોવાને કારણે જનમાનસ સુધી સહજ રીતે પહોંચ્યા. આ પદોએ ઈશ્વરભક્તિને સરળ, સુલભ અને પરિવર્તનશીલ માર્ગ તરીકે જનજન સુધી પહોંચાડી.


મધ્યયુગીન ભક્તિ આંદોલનમાં મીરાબાઈ એક તરફ સામંત પ્રથા અને વૈવાહિક બંધનો સામે ઊભી રહેનારી સ્વતંત્ર, આધુનિક વિદ્રોહી સ્ત્રી છે, તો બીજી તરફ આધ્યાત્મિક રહસ્યવાદ અને અલૌકિક ગોપીમય સમર્પણથી ભરપૂર સ્ત્રી ચેતનાનું ઉત્તમ રૂપ છે.


આ રીતે મીરાબાઈ સૂફિ–ભક્તિ પરંપરામાં પ્રેમ, સમર્પણ અને સમાનતાનો શાશ્વત સ્વર બની ઊભરે છે. તેમની ભક્તિ માત્ર આધ્યાત્મિક નથી પરંતુ સ્ત્રી સ્વતંત્રતા અને સામાજિક જાગૃતિનો પ્રબળ અવાજ છે. મીરાનું જીવન અને કાવ્ય આજેય માનવતાને પ્રેમ અને ભક્તિના માર્ગે દોરે છે.

જામનગર સ્થાપત્ય

 1540 માં નવાનગર તરીકે જામરાવળે વસાવેલું શહેર આજે જામનગર તરીકે પ્રસિદ્ધ છે. પ્રજા વત્સલ્ય જાડેજા રાજાઓના કલા પ્રેમે જામનગર સૌરાષ્ટ્રના સ્થાપત્ય અને કલાના ઇતિહાસમાં અદિત્ય સ્થાન ધરાવે છે. 


જાડેજા વંશના શાસનકાળમાં જામનગર શહેરમાં ખંભાળિયા, દ્વારકા, કાલાવડ અને ભાદરા ચાર મુખ્ય ગેટ હતા.ખંભાળિય ગેટ બાંધકામ અને સુરક્ષા પદ્ધતિનુ સુંદર પ્રતિબિંબ છે. ભુજીયા કોઠામાં છઠ્ઠા માળે બનેલ વોચ ટાવર સ્થાપત્યમાં યુરોપિયન પ્રભાવ દર્શાવે છે. તો રણમણ કે લખોટા તળાવમાં સ્પષ્ટ રીતે હિન્દુ -યુરોપિયન તત્વનો પ્રભાવ દેખાય છે જે આજે જામનગરના મ્યુઝિયમ તરીકે લોકો માટે ખુલ્લું છે .રણજીતસિંહ દ્વારા બંધાવવામાં આવેલ પ્રતાપ વિલાસ પેલેસ ઈન્ડો સેનેસિનિક શૈલીનું ગુજરાતી સ્થાપત્ય છે. જામ વિભાજી દ્વારા બનાવાયેલ વિભાવિલાસ પલેસ હાલમાં જામનગરના સર્કિટ હાઉસ તરીકે સુશોભિત છે. જાડેજા રાજાઓનો દરબારગઢ રાજપૂત-યુરોપિયન શૈલીમાં છે.જામનગર સોલેરીયમ ખાસ વૈજ્ઞાનિક સ્થાપત્ય સ્મારક છે.


સેન્ટ મેરી ચર્ચ , જામા મસ્જિદ, બાલા હનુમાન મંદિર ધાર્મિક સ્થળો ઉલ્લેખની છે, સિધ્ધનાથ મહાદેવ જામનગર ને 'છોટા કાશીની 'પ્રસિદ્ધિ અપાવે છે.


જામનગરની સ્થાપત્ય કલા અહીંના રાજાઓનો કલા પ્રેમ અને પ્રજાપ્રેમનું ઉત્તમ ઉદાહરણ છે. હિંદુ, યુરોપિયન અને ઈન્ડો-સેરેસિનિક શૈલીઓના સંમિશ્રણથી આ શહેર સૌરાષ્ટ્રના ‌સ્થાપત્ય ઇતિહાસમાં વિશિષ્ટ સ્થાન ધરાવે છે અને “સૌરાષ્ટ્રનું પેરિસ” તરીકે ઓળખાય છે.

Sunday, 30 January 2022

મારી નજરે કમ્ફર્ટ ઝોન એક ભ્રમ

ઈન / આઉટ કમ્ફર્ટ ઝોન!? 

"કમ્ફર્ટ ઝોન" આ શબ્દ સાંભળ્યો ને વાંચ્યો હશે જ સૌ કોઈએ. તો આ શબ્દને લઈને થોડુંક.

જીવનના અમુક પડાવે આ શબ્દ ખૂંચે. ને એમાં જ ડૂબવાનું મન થઈ જાય અથવા તો તોડવાનું. પણ એક છોકરી જે ભણવામાં નબળી છે ને એને ભણવામાં મન પણ નથી. અને ચડાવ પાસ થાય, દરેક ધોરણમાં. પછી કેટી સોલ્વ કરીને કે કાપલીનો સહારો લઈને પાસ થાય! હવે, આને આપણે શું કહીશું!? અને એક બીજો દાખલો લઈએ, જે પહેલીની જેમ જ ભણવામાં નબળી, પણ એને ભણવું છે. અને એ પ્રગતિ કરે છે. આને શું કહેશો!? કે કમ્ફર્ટ ઝોન તોડ્યો, એમ? પણ પહેલીની દ્રષ્ટિએ જોઈએ તો? એને સંઘર્ષ કર્યો હોય, એમ નથી લાગતું?

આપણે જ્યારે આપણી નજરથી દુનિયા જોઈએ છીએ તો ઘણું બધું કમ્ફર્ટ ઝોનમાં સ્થિત જીવન લાગશે અથવા તો સંઘર્ષમાં.

ખેર, હજુ એક ઉદાહરણ લઈએ. એક ખેડુતપુત્ર કે જેને ખેતીમાં રસ નથી અને તે જમીન વેચીને શહેરમાં શિફ્ટ થઈને રહેવા લાગે છે. અને બીજો એક વ્યક્તિ એન્જિનિયર હોવા છતાંયે પોતાને વારસામાં મળેલી જમીન ઉપર ઓર્ગેનિક ખેતી કરે છે! બન્ને પોતાની લાઈફમાં ખુશ છે. આમના કમ્ફર્ટ ઝોન અંગે શું કહેવું ?!

દરેક વ્યક્તિને પોતાનો સંઘર્ષ હોય છે , જેમાં શાંતિ, આનંદની અનુભૂતિ એ અલગ. આ અનુભૂતિને જ તેમની સફળતા એ ગણી શકાય ને !

હજી એક વ્યુ પોઇન્ટ ઉમેરું, એક સ્ત્રી પોતાની મરજીથી ગૃહિણી બનવાનું પસંદ કરે છે, જ્યારે બીજી બહાર કામ કરવાની ઈચ્છા છે પરંતુ આવડત નથી, ને આવડત કેળવવાનો રસ્તો ખબર છે પણ હિંમત નથી માટે ગૃહિણી બનવાનું પસંદ કર્યું. આ બન્નેમાં ફેર છે..સ્ત્રી બહાર નીકળી હુન્નર કેળવે, એને આજકાલના વિચારકોની દષ્ટિએ કમ્ફર્ટ ઝોન છોડ્યો કહેશું. અને જો ગૃહિણી બંને તોય જાતની ઈચ્છા સાથે સમજોતા કરી જીવવાનો સંઘર્ષ તો છે જ ! ... એને શું કહેશું ??

Thursday, 2 December 2021

"એરેન્જ મેરેજ" - સહજ રીતનો અસહજ અમલ 1

જન્મ લગ્ન અને મરણ ત્રણ મહત્વના પડાવ છે જીવનમાં. જન્મ અને મરણ તો માણસનાં હાથમાં નથી, માણસ ખાલી લગ્ન જ પોતાની મરજીથી કરી શકે છે કે પસંદગી કરવાની તક મળે છે. આ વ્યવસ્થાને સમાજ અને સંબંધી દ્વારા મેનેજ થાય છે, જેને આજકાલ એરેન્જ મેરેજ કહેવાય છે. આમ તો પ્રાચીન કાળથી ગાંધર્વ વિવાહ એ ખાસા પ્રચલિત છે, પરંતુ મારા જેવાં ઘણાં જેમણે ભણતર અને જીવન માણવાની ધૂનમાં એ પાસા પર ધ્યાન નથી આપ્યું એમને ભાગે એરેન્જ મેરેજ જ આવે છે. જોકે ક્યાંક સમાજ શું કહેશે ! બીજી જ્ઞાતિમાં નહીં થાય! સંતાને માતા-પિતાની મરજીથી જ લગ્ન કરવાં જેવાં હઠાગ્રહ એ એરેન્જ મેરેજ ને વધારે "ખતરનાક" બનાવે છે. હું ખતરનાક શબ્દ જ વાપરવાનો પસંદ કરીશ કારણ કે, ભલે સિધ્ધાંતની દ્રષ્ટિએ આદર્શ વ્યવસ્થા હોય પરંતુ અમલ કરવામાં સમાજ દેખાદેખી વધારે ને બુધ્ધી ઓછી વાપરે છે, પરિણામે આદર્શ વ્યવસ્થાએ બેહુદુ રૂપ ધારણ કર્યું છે અને તેના ભોગ બને છે મારા જેવાં યુવાનો.

સારું પાત્ર પસંદ કરવાની લાહ્યમાં આપણે કેટકેટલું કરતા હોઈએ છીએ, પરંતુ સારું પાત્ર એટલે કેવું ? એ વિષે વિચાર ઓછો કરીએ છીએ. 
શરૂઆત જ 'છોકરી જોવાથી' કરીએ છીએ, જાણે દેખાવ જ મહત્વનો હોય. દેખાવે ગમી જાય એ છોકરી માતાપિતા સન્માન ના કરતી હોય તો ચાલશે ?! લગ્ન જીવન તો યુવાનીથી લઈને ઘડપણ સુધીનો સથવારો છે સુંદર ચહેરો યુવાનીમાં સારો લાગશે સાથે તોછડો સ્વભાવ હશે તો ચાલીસી પછી શું ! છોકરી પક્ષે વાત કરું તો સુખસુવિધા, ઘરકામમાં મનમાની છોકરાનાં ઘરની આર્થિક પરિસ્થિતિ જોઈને જ લગ્ન થાય. પરંતુ જ્યાં આત્મસન્માન ના જળવાઇ, જ્યાં સમાન વ્યવહાર ના થાય ત્યાં જીંદગી જીવાશે ? કે પછી ભૌતિક સુખસુવિધાની મલમપટ્ટીથી જીંદગીભર કામ ચલાવશો‌ ? દહેજમાં જોઈએ એ મળશે આધુનિક યુગમાં છોકરીનાં પરિવારને પરંપરા નામે કરિયાવરનો ભારો હોય જ છે, પરંતુ જોઈએ એટલું દહેજ લઈ આવે એ ઘરને ના જોડી રાખે તો ?!
આવા તો ઘણા સવાલો ઉભા હોય લગ્ન માટે પસંદગી કરવામાં પરંતુ પસંદગીનો આધાર શું ??
સમાજના બે ચાર લોકોનો "સારા છે" નો અભિપ્રાય અને વીસ પચ્ચીસ મિનિટની વાતચીત. શું આટલામાં લાઈફ પાર્ટનર શોધી શકાય !?
માણસને ઓળખવા માટે એ આટલો સમય અપુરતો છે ! અને કેટકેટલું જાણવાનું હોય સ્વભાવ, ગમા અણગમા , કેરીયર જોબ, માણસ તરીકે પાત્ર કેવું અને ખાસ એમની સાથે બાકીની લાઈફ આનંદમાં વિતશે ને ! જો 'joy of life' ના હોય તો બીજા 32 લક્ષણો મળે એનો એ મતલબ નથી..

ચતુર, પ્રભાવશાળી વ્યક્તિગત, વાક્પટુ ને સારું ફેમિલી બેકગ્રાઉન્ડ ધરાવતા છોકરા સરળતાથી પસંદગી મેળવી લેતા હોય છે જ્યારે છોકરીઓમાં પણ સુંદર, ઘરરખ્ખુ , શાંત, સંસ્કારી (કે સંસ્કારી હોવાનો દેખાવ કરી શકતી) ને સારો કરિયાવર લાવતી છોકરીઓ માટે રસ્તો સરળ હોય છે. મારા જેવી સિધ્ધાંત, સ્પષ્ટતા અને ભાવિનાં આયોજન સાથે ચાલતી છોકરીઓ માટે અહીં પણ સંઘર્ષ જ લખાયો હોય છે સાથે પારિવારીક સમસ્યા અને સંતોષી તોય ઓછી આવક સાથે જીવનને માણવાની ઇચ્છા રાખતા છોકરાઓ માટે પણ મેરેજ કરવામાં ઘણી સમસ્યાઓ હોય ‌છે.
મારી રીતે સ્પષ્ટ શબ્દમાં કહું તો તમે છોકરો હોવ કે છોકરી સમાજના મતે તમે ' પરફેક્ટ મેરેજ મટીરીયલ' નથી તો એ તમારી સૌથી મોટી ભૂલ છે. પાત્રો ને પસંદ કરવામાં સમાજે ઘડેલા આદર્શો સાથે જીવનને સેટ કરવામાં જ સમયની રેખા ખૂટી જાય છે, સમાજે નક્કી કરેલા આદર્શો બધાં પર સમાન રીતે ભલે લાગું થાય પણ બધાં એને સમાન રીતે પૂર્ણ કરી શકે એ જરૂરી તો નથી અને મારા મંતવ્ય મુજબ સમાજે નક્કી કરેલા આદર્શોમાં જાતને ફીટ બેસાડવામાં સમય બગાડવો એ કરતાં આપણાં આદર્શ સાથે સંયોજન સાંધે એવું પાત્ર શોધવામાં સમય કેમ આ આપવો ! અને ના મળે ત્યાં સુધી એ લાઇફમાં અધૂરપ કેમ રાખવી ?! પણ હા, સાથે એ વાતનો એ ખ્યાલ રાખવો પડે આપણે વ્યક્તિ સાથે લગ્ન કરીએ છીએ કોઈ રોબોટ સાથે નહીં કે જે આપણી ઈચ્છા મુજબ જ ચાલે. ટુંકમાં, "બન્નેની ઈચ્છા સ્વભાવ અને સપનાંનો એવો સરસ સમન્વય થવો જોઈએ કે લગ્નજીવન સમજણથી દીપી ઉઠે." બધું પોતાનું ધાર્યું જ થાય એ અંહ સામેનાં પાત્ર સાથે સંબંધને એ ખોખરા બનાવી દેય છે. એડજેસ્ટ ( adjustment) કરવામાં "ના" એ તમારો સમજણ ‌વગરનો એટીટયુડ છે પણ કેટલી હદ સુધી બન્ને પક્ષ સમાયોજન સાધી ખુશ રહી શકે એ સમજણ પર આધારિત છે

ટુંકમાં, વ્યવસ્થા લચીલી કરવા પહેલાં વ્યક્તિએ પણ પસંદગીના વલણમાં જડતા ત્યજી થોડા બદલાવ અપનાવવો પડશેને સામેનું પાત્ર 100 % આપણને જોઈએ એવું ના જ હોય એ સ્વાભાવિકતાને સ્વિકારી ચાલવું જોઈએ, આદર્શ પાત્રની માન્યતા બદલવી એ વ્યક્તિ અને નૈતિકતા પર આધાર રાખે છે પરંતુ જો એરેન્જ મેરેજની પ્રક્રિયા થોડી લચીલી બનાવાય ને તો આરામથી પાત્ર શોધવાની માથાકૂટ, મહેનત ને સરળ અને સરસ બનાવી શકાય ..... કેવી રીતે ? એ ફરી ક્યારેક...!

Thursday, 4 November 2021

દિવાળી

"દિવાળીમાં ખરેખર ઘરની સફાઈ થાય અને ધૂળ મન પરથી ખંખેરાઈ." આ વાત મને આ વર્ષે જ સમજાય જ્યારે દિવાળી મનાવવા અને જાતે સફાઈ કરવાનું નસીબ ના થયું....
દર વર્ષે સફાઈ કરતાં હું અચૂક મોમ ને પૂછું મોમ આ સફાઈકામ અત્યારે જ કેમ ? જવાબો દર વર્ષે જુદા મળે ક્યારેક મજાક, ધમકી, કારણો, તો ક્યારેય સામે પ્રશ્ન. ને શરું થઈ જાય સફાઈ સાથે વાતોને દલીલો... ઘરમાં કયો ભાગ વધું ગંદો ક્યાં કેવી ચોકસાઈની જરૂર છે એ સાથે ઘણી ના કહેવાયલી મનમાં સાચવી રાખેલી વાતો એ વણાઈ જાય....હવે પછી શું કરવાથી ઘર સારું રહેશે નું આયોજન થાય અને ભુતકાળમાં આવા પ્લાનિંગ ના થયેલા કિસ્સાઓ એ જામે.... વર્ષ ભરની વ્યસ્તતામાં જે સમય સાથે ના માણી શક્યા હોઈએ સાથે ના વિતાવી શકેલા હરેક પળ જાણે વ્યાજ સહિત વસુલાત થાય..

કયું કામ‌ કોણ કરે ! કોની ચોક્કસાઈ વધારે! કોની પાસે નવા પ્લાનિંગ સારા હોય ! કોણ થાક્યા વગર વધું કામ કરી શકે ! આ બધાંમાં જાણે ઘરમાં વર્ષભર કોણ શું કરશે એ પણ નક્કી થઈ જાય. ઘરને જાતે સજાવવામાં સહુનાં હાથ મળેને ખરેખર હૃદયે દીવા ઝળહળે.. કંઈ વસ્તુ રાખવી ને કાઢવી એ બાબતે એ ફટાકડા ફુટે. નવી મજાની ગોઠવણી મનને રંગોળી જેવી મીઠી લાગે..... ને થાક્યા શરીર એ મનમાં આનંદ ભર્યો હોય એ જ સહિયારા સાથની ઉજવણી..

આ રીતે સફાઈથી શરું થતી દિવાળી ઘરની સાથે સંબંધને પણ ચમક આપી જાય... પરંતુ જો શરૂઆત સફાઈથી ના થાય તો ! ઘરની ધૂળ તો પૈસા ખર્ચીને સાફ થઈ જાય પણ સંબંધોમાં ? એનાં સફાઈ કરવા તો ત્યારે પણ મહેનત જ કરવી પડે બસ નવી રીતે !

નવી રીત અજમાવવી સહેલી હોય પરંતુ સ્વીકારવી થોડી અઘરી... પરંતુ આ પરિસ્થિતિને પરિવર્તન સ્વીકારી જે પરિવાર સંબંધોને ચમકદાર બનાવી શકે તહેવારોના ઉત્સાહને પરંપરાગત ઢબ બદલાવા છતાં જાણવી શકે ને નવી રીતે સ્નેહનાં સાથીયા પુરી શકે એ ઘરમાં બારેમાસ દિવાળી હોય...!

Tuesday, 14 September 2021

ઈમરજન્સી હેલ્પલાઇન

કાલે મમ્મીએ કહ્યું, 'ઘરની ઈમરજન્સી હેલ્પલાઇન છે તું જ્યારે કહીએ હાજર થઈ જવાનું..' સાંભળીને સારું લાગ્યું અને કેમ ના લાગે ! ૨૦૧૯ નાં વર્ષમાં મેં લીધેલા નિર્ણયનું જ આ પરિણામ છે ... ૨૦૧૯ નું વર્ષ શરૂઆત થી અંત સુધી પરિવર્તનનુ રહ્યું, આમાં સ્વેચ્છાએ એક પરિવર્તન આ પણ કર્યું હતું....

૨૦૧૯ની શરૂઆતમાં સામાજિક કામો એવાં આડે આવ્યા કે ભણવામાં ધ્યાન અશક્ય બન્યું અને સામે આવતી GPSC ની મેઈન્સની પરિક્ષા. પરિવારની સહમતીથી ગાંધીનગર પહોંચી ગઈ, એ પરિક્ષા પતેને પરિણામ આવે એ પહેલાં અંગત જીવનમાં તોફાન આવી ગયું. જાતને સંભાળી વિપશ્યના કરી હું ફરી મારા ધ્યેય તરફ આગળ વધવા ઉતસાહી બની. નવો જોશને ઉમંગે હું મારી મંજિલ તરફ પ્રગતિશીલ થઈ જ , અને ઘરમાં આભ ફાટ્યું ! 

વરસોથી એક હાથે ઘર ચલાવ્યું એનો થાક જાણે મોમના શરીર પર આઘાત બની તુટી પડયો. ડોક્ટરના નિરાશાજનક શબ્દો , "બીમારી જેણે મોકલી એ સારું કરશે હું વચ્ચમાં રાહત સિવાય કશું નહીં કરી શકું.." એ મારા જીવનમાં બે મહત્વના પરિવર્તન લાવ્યા પહેલું પરિવર્તન મંજિલ પહેલા કે પરિવાર એ નક્કી કરવાનો પ્રશ્ન જ ના હતો. આટલી બીમારીમાં મોમ‌ને મુકી એક પરિક્ષા આપવા જવું પડ્યું ખાલી એટલાં માટે કે મોમને મનદુઃખ ના રહે એ મનમાં મંજિલને એક ખુણો પકડાવી દીધો અને બીજું પરિવર્તન ફરી "ઈશ્વર પર વિશ્વાસ."ઈશ્વરે જ જાણે માર્ગ બતાવ્યો ને મમ્મીની શ્રધ્ધા અને હિંમતે અમે મુસીબતમાંથી બહાર નીકળ્યા.

તુફાન ગયાં પછી આત્મચિંતન કરતાં સમજાયું, હું ભાગી રહીં છું, મંજિલની દોડમાં જીવનમાં કશુંક બનવાની ધુનમાં ઘણી જવાબદારી, કામો મેં છોડ્યા.આ સભાનતા એ એટલી એ સમજ આપી મોમને રાહત આપવી ને એટલી સમજ તો હતી જ ઘરના નાજુક ખભાઓને ભાર ના સોંપાય પછી શું ! અપનાવી લીધું પરિવર્તન ઘરને સાચવવું , મોમના કામો એમને સાંભળવાને ઈશ્વર પર શ્રદ્ધા..આવા અમલથી ૨૦૧૯ પુરું થયું...

પણ જીવન તો અવિરત ચાલે છે. અધુરાં સપનાં સાદ કરે , ખેંચે છે પણ મને લલચાવવા નથી. ખબર છે એક વાર તૈયારી છોડ્યા પછી ફરીથી શરૂ કર્યું તોય હું રેસમાં બધાની ઝડપે ના દોડી શકું ને સફળતા એ નહીં મળે પણ મનને હવે એ પ્રત્યે થોડું ઉદાસીન છે ભલે પરિણામ ના મળે હું જ્યાં છું ખુશ છું... ગુમાવ્યું એ કરતા મેળવ્યું ઘણું છે જે દેખીતી સફળતા નથી પણ‌ આંતરિક ખુશી છે.

હવે મારે કોઈ એવી પરિક્ષા નથી આપવી જે મને જીવનની પરિક્ષામાં /સમીક્ષામાં નાપાસ કરે.... આ જરૂર પડે પહેલા મને લગાવાતો કોલ જ જીવનની સહુથી મોટી સફળતા છે ને હાજર રહી કામ પાર પાડું એ જ સહુથી મોટી ખુશી....☺️☺️

Sunday, 6 December 2020

મારા બાળમાનસમાં બાબાસાહેબની છાપ...

બાબાસાહેબ આંબેડકર નિર્વાણ દિને આજ સવારથી પોસ્ટ જોઈ મગજ વિચારે ચડ્યું.... હું કેટલું જાણું છું એમનાં વિશે ? આનો જવાબ તો લિમિટેડ હતો પરંતુ એ સાથે જ મનનાં સ્મરણમાં ઘણું બધું આવી ગયું..
હું લગભગ ૫-૬ ધોરણમાં હતી ત્યારે પ્રથમ એક શાળાના ફોટા પર એમનું નામ જોયું. ઘરમાં આંબેડકર નામ ઘણી વાર સાંભળ્યું હતું પરંતુ પહેલીવાર ફોટો જોવાનો અવસર હતો એ...નીચે નામ સાથે ડૉ. હતું એ સમયે એટલી સમજણ તો હતી જ કે વધારે ભણવાથી ડૉક્ટર બનાય..

આપણાં લોકોનાં ઉધ્ધારક વગેરે ઘણું સાંભળ્યું પરંતુ વડીલોની વાતોમાં ગ્રામ્ય જીવનમાં પડતી મુશ્કેલીને પણ અનુભવી હતી..હા, હું અનુભવી હતી એમ જ કહેવાનું પસંદ કરીશ કારણ કે એમની આપવીતીમાં રહેલું દર્દ અમને પણ જાણે એ જ અનુભવ આપતું...ભલે રહેતા આદિવાસી વિસ્તારોમાં હતાં પરંતુ અસ્પૃશ્યતા જેવું થોડુંઘણું તો‌ હતું જ... ગામનાં નાકે રહેવાની પ્રથા અમારે ગામમાં એ હતી... કુવામાં પાણી ભરાવાથી લઈ ને ગામમાં પ્રવેશને ઘર બનાવવા સુધીનો સંઘર્ષ ઘરમાં ઘણી વાર ફરી વળતો... નાનું મારું મગજ હંમેશા દલિલ‌ માટે તૈયાર રહેતું કે ભલે એ લોકોને આપણાથી સમસ્યા તો પોતે અલગ કુવો કરે આપણને તો બધું સ્વીકાર્ય છે તો આપણે શા માટે પાણી ના ભર્યે..?

આ માહોલમાં જ્યારે બાબાસાહેબ વિશે જાણવાનું થયું તો કલ્પનાની પાંખે તમે ઘણું કર્યું તો અમારા વડીલોએ આ કેમ સહન કરવું પડ્યું એ સવાલ કરતી....જોકે એ સમયે સમયરેખાનું જ્ઞાન હતું નહીં... 
શાળાની પ્રવૃતિઓમાં વાંચન મારું  મનપસંદ, નવાં પુસ્તકો પ્રત્યે આકર્ષણએ વધારે , એમાં ક્યાંક બાબાસાહેબ વિશે વાંચવાનું આવ્યું . આ યાદ એટલાં માટે છે કે ૫-૬ ધોરણની છોકરીને પહેલી વાર વાંચતા ઉકેલવામાં મુશ્કેલી પડે એવી ડીગ્રીનાં નામો હતાં.. આ ઉંમરે મારો બહું સવાલ કરવાનો સ્વભાવ બદલાઈ કલ્પનાની સવારીએ અનુમાનથી કામ ચલાવવામાં બદલાયો હતો....મારા નાના મગજે બધું જોડી અનુમાન લગાડ્યું આમની ડીગ્રી નાં લીધે જ આમ કરી શક્યા અને હું પણ એવું જ કરીશ..

મારા બાળમાનસ ઘડતરમાં આ સાથે બીજી એક વાર્તા એ પણ ભાગ ભજવ્યો... ડૉ.બાબાસાહેબ અને એમના ડ્રાઈવરનો આ પ્રસંગ, ઉનાળાનાં દિવસોમાં એકલાં કેરી ખાવાનાં બદલે પોતાની સાથે જ  ડ્રાઈવરને પણ કેરી ખાવા આમંત્રીત કર્યા અને સાથે કેરીની લિજ્જત માણી...તે સમયે મારું માનસ વિચારતું આટલાં મોટાં માણસ થઈ આવું શું કામ કરવું ! ડ્રાઈવર ને કેવી અનુભુતિ થઈ હશે ! આવું ‌કરવાથી લોકો આપણી હાંસી નહીં ઉડાવે‌ ! પરંતુ આજે સમજાય છે જેમણે અસમાનતા સહન કરી હોય એ બીજાની સમાનતા પ્રત્યે વધું સભાન હોય...

એમનાં જીવનમાંથી ઘણું બધું શીખવા જેવું છે પરંતુ મેં એમનાં જીવનમાંથી લીધેલી પહેલી શીખ જે આજે એ સહુનાં ઉધ્ધાર માટે આવશ્યક લાગે છે, " Be educate " 

Friday, 13 November 2020

થોડું મારા વિશે.......


જેમ જેમ સમયની ચારણીમાં ક્ષીણ થતી જાવ છું એમ એમ સમયનાં અરીસામાં વધુ સ્પષ્ટ રીતે જોઈ શકું છું.જન્મદિન તો ઘણા આવ્યાને ગયાં વધતી ઉંમરથી જાતને શું માપવી ! હું તો માપું છું મારી જાતને ભુલો ને ભુલોમાંથી જીવનની લીધેલી શીખથી.

નિષ્ફળતા ઘણી મળી છે પરંતુ નિરાશ થઈ નથી..  સફળતા ઘણી મળી છે પરંતુ સંતોષ થયો નથી..જાતને જ્યાં છું ત્યાં જ સ્વીકારી શકવાની અને આરામ કરવાની થકાવટ આવી નથી. હજી તરબતર છું ઉત્સાહથી, જીવવાનાંને નવું કરતાં રહેવાનાં ઝનુનથી, એટલે જ મારી જાતને હું થોડી વધારે ગમું છું...

એવું એ નથી જીવનમાં કાયમ આ ઉત્સાહને સકારાત્મક ઊર્જા જળવાઈ રહે છે. ક્યારેક મને એ શોક, દુઃખ, ડર, નકારાત્મકતાના વાદળો નડે છે પરંતુ હું એવા સમયને બસ એક પ્રસંગ સમજી જવા દેઉ છું. રસ્તો છે જીવનનો ક્યારેક આવા પથ્થર તો નડે. પરંતુ ત્યાં જ અટકી જવું ! એવું નથી આવડતું મને, આવી ખુમારી કદાચ મોમના ઉછેરનો જ પ્રતાપ છે , બાકી હું અંદરથી બહું ડરપોક હતી. મોમના સાથ અને પ્રેમે જાણે મને જીવંત રાખી છે અને મારી બેને મુંજવણમાં રસ્તો બતાવવાનું નહીં મારા માટે ખુદ નવો રસ્તો બનવાનું કામ કર્યું છે.‌ ક્યારેક તો મને અંધકાર દેખાય ને એ મને ચાંદ બતાવે..

મને થોડી ‌વધારે ઘડી છે મારા ડીગ્રીના શોખ એ, હજીએ આ સફર ચાલુ છે. નવી નવી ડીગ્રી સાથે જ્ઞાન મળતું રહે ને લાગશે મારા જીવનનાં અર્થને હું સાર્થક કરું છું..
મારી વ્યસ્ત કે થકાવટ ભરી સમયની વાટમાં આરામની ક્ષણો લઇ આવે છે મને ગમતી પ્રવૃત્તિઓ. વાંચન, લેખન , ચિત્રો ને ઈતિહાસ. વાંચનની આદતે મને જડતાં ત્યજી વધું વિસ્તૃત બનાવી છે મારી સૃષ્ટિને જોવાની દ્રષ્ટિ સુધારી છે. લેખનના શોખે  માતૃભાષાને વધું નજીકથી જાણવા અને નવું જ્ઞાન મેળવવા લલચાવી છે તો લેખનથી મળતી માનસિક હળવાશે મને કાયમ શબ્દોથી જોડી રાખી છે. જ્યારે પણ એક જ ઢાળમાં ચાલતાં જીવનથી કંટાળો આવે હું રંગો ને પેન્સિલ પકડી લઉં એમાં નવું શીખવાનું અપ્રત્યક્ષ હોય છે અને દોરવાનો અલોકિક આનંદ. ઈતિહાસમાં મારો રસ એ મને અભ્યાસની સાથે સાથે વ્યસ્ત અને જટીલ ડીગ્રીની દોડને સરળ બનાવવામાં સહાયરૂપ થાય છે..

હું મારા શોખોમા ભરપુર જીવું છું અને હા, આ જ ક્ષણે ભરપુર જીવું છું. જીવન અનંત નથી હું અનંત નથી ક્યારેક તો ખતમ થઈ જઈશ એ સ્વીકારી જીવું છું.
મારા જીવનને દુરથી કે પાસેથી જોનારને ધણી અધુરપ અને મુર્ખામી દેખાતી હશે. પરંતુ એ ક્ષણમાંથી શીખીને પસાર થઇ હું આ ક્ષણમાં જીવું છું.....

મારા જીવનનાં રસ્તામાં કંટક બનેલાં, પુષ્પ બનેલાં, વિરામનું વૃક્ષ બનેલા કે વિધ્ન બનેલા કે સહચર બનેલાં સહુની હું હૃદયથી આભારી છું....
આ રસ્તામાં હજી એ નવા મુકામ આવશે, નવા સંબંધો જોડાશે, નવી સિધ્ધીઓ આવશે બસ નહીં આવશે તો વિતેલી ક્ષણો અને આ વિતી રહેલી ક્ષણો...બસ આ ક્ષણમાં જીવંત રહું હું એ જ કાયમની અભિલાષા....
આભાર...મને વાંચવા માટે .. 🙏☺️🙏
તમારું જીવન નીતનવી ખુશીથી ભર્યું રહે એ જ પ્રાર્થના..


 

Saturday, 29 August 2020

ઘર કે જેલ ! શું લાગ્યું કોરોનામાં?


ઘર....કેવી અદભૂત લાગણીઓનો સમુદ્ર ! પરંતુ કોરોના અને લોકડાઉનમા શું થયું ? માણસજાતને એક નવી વાત શીખવા મળી... પોતાનું ઘર એ દરેકનું સપનું હોય... મનગમતું પોતાનું ઘર વસાવી લીધા પછી એ માણસ એમાં ૨૪ કલાક પુરાઈ રહેતા અકળાઈ છે.....અજીબ કહેવાય નહીં ! જે મધ્યમવર્ગના લોકો પોતાના જીવનની અડધી ઉપર ઉંમર ગમતું પોતાનું ઘર વસાવવામાં લગાવે છે એ ઘરમાં કાયમ રહેવાતું નથી..તો આ બધું શું કામ..! મતલબ એવો જરાય નહીં કે બધું છોડીને નીકળી પડ્યે..પણ આ પરથી એવી શીખ તો ચોક્કસ લઈ શકાય કે બધું પકડીને જ ના બેસી રહેવાય..... મધ્યમવર્ગીય લોકો માટે ખાસ ઘર વસાવવામાં જીંદગીભરની પૂંજી લગાવો એના કરતાં લાગણી નિર્મળ રાખી પૂંજી કોઈ બીજા સારા કામમાં લગાડો ..... જો સમજીએ તો આ કોરોના આપણને બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ ક્યાં કરવું એ શીખવવા આવ્યો છે..અને સ્માર્ટ માણસ થઈ આપણે આવો શીખવાનો અવસર કેમ જવા દઈએ !
એકબીજાથી અલગ રહેવું શું હોય, એક જ જગ્યાએ સતત રહેવું કેવું હોય, પરિવાર ખાતર જાતની કાળજી રાખવી કેટલી જરૂરી, કેટકેટલું શીખવ્યું છે.! કદાચ આ પરિવર્તનની હાકલ છે જીવનનાં બદલાયેલ ધ્યેયની ને વધતી ભૌતિક સુખ સામે પ્રકૃતિની ચેતવણી છે..
બેફામ સાહેબની સીધીસાદી સલાહ અનુસરવાનો આ સમય છે


"ચાર દિનની જિન્દગીમાં ઘર તો ક્યાંથી થઇ શકે ?
વિશ્વને ‘બેફામ’ ખાલી છાવણી કરશું અમે."


અનંત જીંદગી હોય તો જીવવાનો એ કંટાળો આવે અદ્દલ ઘરમાં રહેવાનો આવ્યો એમ જ....મોત છે તો જીંદગી વ્હાલી લાગે છે ... બહાર નીકળવું પડે છે એટલે ઘર વહાલું લાગે છે..


 

Tuesday, 23 June 2020

સંતાનોની સ્વતંત્રતા અને માતા-પિતાનો દષ્ટિકોણ

                   


                           સમય સાથે ઘણું બધું બદલાય જાય છે! જુઓને હું નાની હતી ત્યારે ઘરથી, મમ્મીથી દૂર જવા ક્યાં ઈચ્છતી! એટલે જ તો ૮માં ધોરણમાં હોસ્ટેલમાંથી પપ્પા મને ઉઠાવી લાવેલા, મારા આંસુ જોઇને જ તો! ભલે ઘરે રહી ભણતી, હવે પરણાવશું ત્યાં સુધી સાથે જ રાખીશું, પરંતુ આજે M.A. કરતાં કરતાં મન થાય છે કે આ ઘર છોડી ક્યાંક ચાલી જઉં!....હા હું હેતલ અત્યારે તો આજ ઈચ્છી રહી છું કારણ કે ઘરના હવે મારા પર હેત ના બદલે શંકા વરસાવે છે. તમે જ કહો આજના યુગમાં મિત્રોના લીસ્ટમાં પુરુષ મિત્રોનું નામ ન હોઈ એવું બને ખરું!? પરંતુ મારા દરેક મિત્રો જે કોલ કરે, મળવા આવે એમાં મારા મમ્મી-પપ્પાને મારો BF દેખાય છે! લગ્ન માટે છોકરો શોધવાની માતા-પિતાને સંમતી આપી છે છતાંયે!? અને આ જ શંકાના આધારે શરૂ થાય છે મારા જ ઘરમાં મારી સાથે ઓરમાયું વર્તન. ક્યાં સુધી ચાલશે આવું? થાય છે ક્યાંય દૂર ચાલી જાઉં. એકલી જ કારણ કે, મારે કોઈ BF નથી.... મને ભણવામાં અને મિત્રો બનાવવામાં રસ છે જાતે જીવનસાથી શોધવામાં નહિ પરંતુ માતાપિતાને આ વાત સમજાતી જ નથી!?

                       યુવાન સંતાન અને માતાપિતા વચ્ચે આવું મનદુઃખ ઘણાં ઘરો માં જોવા મળે છે. કારણ કે આ સંબધ જ પરસ્પરાવલંબન ,જવાબદારી, સામાજિક સંબધ અને અતૂટ સ્નેહથી જોડાયલો હોય છે. બાળક નાનું હોય, માતાપિતા વુદ્ધ હોય ત્યાં અધિકારભાવ અને સ્વતંત્રતાનો પ્રશ્ન ભાગ્યે જ જોવા મળે છે. પરતું યુવાન સંતાનો અને કમાતા માતાપિતા વચ્ચે મોટાભાગે આ પ્રશ્ન ઉભો થતો હોય છે. આવું કેમ? બાળક જ્યારે નાનું હોય છે, માતા પિતા પર આધારિત હોય છે. એમના પ્રોત્સાહનથી, પ્રયાસથી,પૈસા અને દુનિયા જોવાનો દ્રષ્ટિકોણ જ બાળક માટે પણ હોય છે. એ આધારે જ બાળક મોટું થાય છે. મા-બાપના સમય, નાણું, હેત,  વર્તમાનને ભાવિ બાળકોના આસપાસ જ હોય છે. આથી બદલામાં તેમની અપેક્ષાઓ પણ વધતી જ જાય છે કે, "આં મારું બાળક", "મે મોટું કર્યું ", "ઉછેર્યું","એને સારું ભાવિ આપવા મારી જાત ઘસી" , "એ મારા સપના પૂરા કરશે","મને ગૌરવ અપાવશે" "મારું નામ ઊંચું રહે સમાજ માં એવું કામ કરશે", "મારી ઇચ્છા વિરુદ્ધ ક્યારેય નહિ જાય" વગેરે વગેરે .... પરંતુ જ્યારે બાળક મોટું થાય છે તેમ - તેમ પોતાના વિચારો, સમજણ , સાચું-ખોટું અને શું કરવું ભાવિમાં? એ જાતે નક્કી કરતું થાય છે અને પછી જ આ વિચાર અને આચાર નો ઘર્ષણમય કાળ આવે છે.

                     જો સપના સરખા હોય તો સરળ રહે , અલગ સપના હોઈને માતા-પિતા બાળકોને તેમના રસ્તે જવા દેવા રાજી હોય તો પણ સરળતા પણ સંબંધે વિખવાદ બંને પરિસ્થિતિમાં થાય છે, (1 ) તો બાળક માતાપિતાના સપનાને અપનાવી લે છે પરતું પોતાના સપનાને દફનાવી નથી શક્તો, રોજ એમની કલ્પનાની જિંદગી જીવી જાતને અને અપ્રત્યક્ષ રીતે માવતરને પણ દુઃખી કરે છે જ્યારે (2 ) સ્થિતિમાં બાળક પોતના સપનાં જીવવા ખુલ્લેઆમ જાહેરાત કરે છે અને માતા-પિતા એમ કરવા દેવા રાજી નથી હોતા.....ઉપરની હેતલની મનોસ્થિતિ અહી (1) પ્રકારની છે જે સંબંધ માંથી જળાની જેમ લાગણી ચૂસી લે છે.

                   અતુટ સંબંધમાં લાગણી છીનવાતા આ અલગાવની વાત કરીએ તો “ચહેરા એટલા વિચારો હોવાના” અને  અલગ વિચારવાળા વ્યકિતઓ સાથે રહે એટલે, "કેમ જીવવું ને શું કરવું જોઈએ ?" ના  અલગ અલગ અભિપ્રાય એ રહેવાના જ..આ ઘણું સ્વભાવિક છે, પરતું અસ્વાભાવિક એ છે કે આપણે સમજ્યા, જાણ્યા વગર જ આપણા વિચારો બીજા પર થોપી દઈએ છીએ.

                   માતા-પિતાએ સંતાનો એ શું કરવું? એ નક્કી ના જ કરવું જોઈએ પણ વિચારવું ચોક્કસ જોઈએ કે , બાળકની મૂળ પ્રકુતિ કેવી છે ? શારીરિક, માનસિક મજબૂતાઇ કેટલી છે ? એ જાતે નિણર્ય લે તે કેવા હોય છે ? એને કઈ કઈ બાબતો માં રસ છે ? અંને બાળક ક્યાં રસ્તે જવા ઈચ્છે છે? એ એના માટે યોગ્ય છે કે કેમ ? બાળક મજબુત,મહત્વકાંક્ષી અને અટલ હોય તો એના સપનામાં સહાયરૂપ થવું જોઈએ પરતું નબળા મનના કે કોઈકના પ્રભાવમાં તરત આવી જતા બાળક જોડે વિશેષ સમજણથી કામ લેવું જોઈએ તેમને ધમકાવી કે પોતાના વિચારો અપનાવા જબરજસ્તી કરવા કરતા સિક્કાની બીજી બાજુ બતાવી સાચી સમજણ આપવી એ સારો ઉપાય છે તરત બીજાની વાત માં આવી જતી કે સહજતા થી હરેક જોડે મિત્રતા કરી લેતી છોકરીની ચિંતા હોઈ એ સ્વભાવિક છે પરતું તેનો ઉપાય ઓરમાયું વર્તન નહિ લાગણી,વાતચીત અને બાળકની મનોસ્થિતિ સમજવી એ છે.. બાળક ના મિત્ર અને ગુરુ બન્ને બની રહેવું એ જ સૌથી સરળ ઉપાય છે. સામે પક્ષે બાળકે પણ જિદ્દ ના બદલે સમજદારીથી કામ લેવું જોઈએ કે માતાપિતાના આવા વર્તન પછાડી શું કારણ હોઈ શકે ! જાતે નહીં સમજી શકો તો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પૂછી લેવાય !બાળક જયારે નાનું હોઈ છે ત્યારે શાળા,મિત્રો,રોજરોજના બનાવો કહેતા હોય છે  પરંતુ મોટા થતાં જાય તેમ આ સંવાદ તૂટતો જાય છે અને કહેવાય છે ને જ્યાં “સંવાદ નહિ ત્યાં વિવાદ “ માતાપિતા વ્યસ્તતામાં આર્થિક,સામાજિક ભીડમાં આ સંવાદ ચૂકી જાય છે જે સ્વાભાવિક છે. પણ સંતાન તરીકે એમની સાથે નજીકનો નાતો બનાવી રાખવાની ફરજ નહીં ચૂકાય એ સંબંધે વિવાદ ને દૂર રાખવા એ સહાયરૂપ છે

                  આજીવન જોડાયલા આ સંબંધમાં  જીવવું કેમ? અને કોને શું કરવું જોઈએ?  એ વિચારોની ભિન્ન રેખા સંબંધ મધ્યે પણ એક વિવાદની રેખા દોરી દેતી હોઈ છે સંવાદ અને સમજણની ઓથ રાખી,સામે વાળાને  સમજાવવા કરતા સ્વીકારવું એ લાગણી ની હુંફ જીવંત રાખવાનો એક રસ્તો છે...


You may give your children your love but not your thoughts. For they have their own thoughts. –kahlil Gibran

(તમારા બાળકો ને તમે તમારો  પ્રેમ આપી શકો પરતું તમારા વિચારો નહિ કેમ કે બાળકો ને પોતાના વિચારો હોય છે –ખલીલ જીબ્રાન )

Wednesday, 10 June 2020

કોરોના (મહામારી) vs (મહાન) ભારત


     માતા-પિતા અને 2 પૂત્રનો સુખી પરિવાર. પરંતું બંને ભાઈઓ વચ્ચે નાની નાની બાબતે ચક્મક થયા જ કરે. સમજાવટ, નિયમ, શિક્ષા બધું જ અપનાવી જોયું પણ પરિણામ શુન્ય. એક દિવસ મોટાભાઈના પાકીટમાંથી પૂરા મહિનાની સેવિંગ ગુમ. માતાપિતા તો લે નહીં અને નાનોભાઈ ગયો હતો મિત્રો જોડે પીકનીક કરવા સીધો શક નાનાભાઈ પર. મોટાનો ગુસ્સો આસમાને નાનોભાઈ આવે એટલે ખેર નહીં પરંતુ નાનોભાઈ ના આવ્યો પણ એના નંબર પરથી કોલ આવ્યો કે આ ભાઈઓનું એકસીડન્ટ થયું છે પછી શું આખો પરિવાર લાગ્યો નાનાભાઈની સેવા માં ..........આ બધામાં પેલા મામુલી રૂપિયાની વાત તો ક્યાંય વિસરાઈ જ ગઈ ! પોતાનો નાનોભાઈ બીમાર હોઈ તો લાગણીશીલ કુટુંબપ્રેમી વ્યકિત એ જ કરે જે મોટા ભાઈએ કર્યું. હર્દય નૈતિકતા ને ગમે એવું વર્તન.
        આપણા ભારતદેશને પણ બે પુત્ર છે એક પ્રજા અને બીજી સરકાર, જેને મોટોભાઈ બનાવી બંધારણ થકી ઘણાં અધિકારો આપવામાં આવ્યા છે, એ જ નિર્દેશ પર સહુએ ચાલવાનું છે આઝાદી પછીથી આ જ આધારે આપણા દેશનું તંત્ર ચાલતું આવ્યું છે. ઘણી અસમંજસતા રહે છે સરકાર અને પ્રજા વચ્ચે પરંતુ સરકાર ક્યારેય મોં સામે પ્રજાની ભૂલ કાઢી નથી શકી કારણ કે લોકો દ્રારા જ તેમને મોટા ભાઈ બનાવવામાં આવ્યા છે, સામે જનતાને અધિકાર છે સરકારની ભૂલો કાઢવાનો રસ્તો બતાવવાનો, હિસાબ માગવાનો, આ યોગ્ય વ્યવસ્થા છે. સરકારની ભૂલો શોધી જનતા જાગૃત બને છે. તો જનતા ને જવાબ આપી સરકાર પોતાની જવાબદારી નિભાવે. આ વ્યવસ્થા અને સમતોલન વરસોથી ચાલતું આવ્યું છે એમાં જ તો લોકતંત્રનું હિત છે, પરંતુ આજે પ્રશ્નો ઉભો થાય છે દુઃખ સમયે મહામારી સમયે શું ? આ સમયે પણ એકબીજાના પગ ખેંચવાની રીત કેટલા અંશે યોગ્ય છે ?
      આપણે ત્યાં કહેવત છે-સમય સમય બળવાનક્યાં સમયે શું કરવું એની સુઝ બહુ જરૂરી છે. તમે સાચા હો પણ સમયે સત્ય ના બોલો તો તમે ખોટા ઠરી જાવ છો એમ વિરોધ સાચો હોઈ પણ બીમાર ભાઈનો વિરોધ ના કરાય પહેલા એને સારો કરાય અને પછી એની ભૂલ સુધારવાની પહેલ કરાય.
      આપણું વ્યવસ્થાતંત્ર આજનું જ ખરાબ છે ? આપણી હોસ્પિટલોમાં આજે જ વહીવટ અને સ્વચ્છતાના પ્રશ્નો સર્જાયા ? આજે જ આંકડાકીય ગોલમાલ સર્જાય ?અત્યારે જ મજૂરો પર અત્યાચારો શરૂ થયા ? આજે જ અધિકારી ને ડોકટરોની ધટ પડી ? આ સમસ્યાઓને જડમૂળથી ઉકેલવાની જરૂર ના સરકારને લાગી ના પ્રજાને. ક્યારેક કોઈ સમસ્યા વધુ વિકટ બની જાય લોકમાગણી વ્યાપક બને તો થોડાઘણા સુધારાના પ્રયાસ પછી બધું હતું ત્યાનું ત્યાં. વિશ્વાસ ન થતો હોઈ તો લોકપાલ જ જોઈ લો !
 તો હવે પ્રશ્ન એ ઉઠે છે કે પડ્યા પર પાટું મારવાની હાલ કેમ જરૂર પડી...? ” તુમને ગુસ્તાખી કી હમને એક ઓર જોડ દી
       કોરોના અત્યારે વિશ્વ સમક્ષ એક કોયડો બની ગયો છે ઉકેલવાની મથામણમાં વધુ ગુંચવાતો. વિકાસશીલ, વિકસીત બધા દેશો અત્યારે એનો ઉકેલ શોધવામાં વ્યસ્ત છે આપણું ભારત પણ એમા છે...દિવસે દિવસે વધતા કેસો સરકાર માટે અને આપણા પ્રજા માટે પણ ચિંતાનો વિષય છે ત્યારે આપણે કેમ લડવું જોઈએ ? આપણી પરંપરા સંસ્કૃતિ કંઈક કહે છે આપણને ? મારા મતે તો “શ્રદ્ધા, સેવા અને એકતા” એ આવા સમયે આપણી સાંસ્કૃતિ તરફથી આપણને અપાયલો વરસો છે જયારે કોઈ ઉકેલ ના હોઈ ત્યારે શ્રધ્ધા જ આપણી તારણહાર બને છે. ઈશ્વર પર ખુદ પર વિશ્વાસ રાખી કામ કરવું આસ્થાથી અસ્તિત્વ બનાવવું ને ટકાવવું એ આપણા મૂળમાં છે. સેવામાં તો ભારતીઓને કોઈ નહીં ચડે ઝુપડું બાળી તીરથ ના થાય એ કહેવતને ખોટી પાડે એવા ઘણાં દાનવીરોથી હરીભરી હિન્દુસ્તાનની ભૂમિ છે.(મજુરો ના પ્રશ્ને એનો પરિચય એ મળ્યો આપણને ) હવે પ્રશ્ન રહ્યો છે એકતાનોઆંતરિક એકત્વનો....સ્વતંત્રદિન જેવા ઘણાં પર્વો એ છલકતી આપણી મહાનતાની ભાવનાને કર્મો દ્વારા સાબિત કરવાની. સરકાર પક્ષે પણ અને પબ્લિક તરફથી પણ.
         સૌથી યુવાન જન સંખ્યા અને સ્ટાફની કમી ! મોટી હોસ્પિટલ ખરી પણ વહીવટમાં ગોટાળો ! મફત પહોંચાડાય એ મેળવવામાં હોબાળો અને જરૂર્રિયાતમંદોની લાચારી અકબંધ ! સંશોધન અને પારદર્શીતાના પ્રયાસો એકતરફ અને વાસ્તવિકતાની આંખ બીજી તરફ ! સરકાર સામે પ્રશ્નો ઉઠાવવા જ જોઈએ પરંતુ આ જવાબ માગવાનો યોગ્ય સમય નથી ! સરકાર બધું સાચવવા સક્ષમ હોય સામાન્ય પરિસ્થિતિમાં મહામારીના સમયમાં નહીં ! કદાચ વિકટ સમય ઘણી સમજદારી માગીં લેતો હોય છે. આપણી પાસે ઉપલબ્ધ સંસાધનનો ઉપયોગ શ્રેષ્ઠ રીતે કરી આ જંગને જીતી શકયે ! પરંતુ કેવી રીતે ? આ પ્રશ્ન નો જવાબ વિશ્વની બીજા નંબરની જનસંખ્યા ને જ પૂછવામાં આવે તો ! વિચારો જરા મજુરોનો પ્રશ્ન , 1 લોકડાઉનથી જ તેમની વતન જવાની માંગ અને જીવવું કેમ નો પ્રશ્ન ઉભો હતો આ સમયથી જ ઉપાયો વિચારાયા હોત ......સોશિયલ મીડિયાના કે અન્ય માધ્યમોથી સલાહ લેવાત અને તજજ્ઞો સાથે નક્કી કરી સંપૂણ રણનીતિ તૈયાર થઇ હોત તો સમસ્યા સમસ્યા જ ના રહત ! આ જ રીતે દર્દીની સારવાર, મેડિસીન વગેરે બાબતે પર આપણે કંઈક વિશિષ્ટ કરવાની જરૂર હતી અને હજી છે ! જરૂર છે માત્ર એક હાકલ ની....અલબત્ત એ સરકારે જ પાડવી પડે ! આ સમય દરમિયાન યુવાનો દ્રારા ટેકનીકલ ઘણી નવી શોધો થઇ અને એનો ઉપયોગ એ કર્યો આપણે પરંતુ, આ શોધ માટે સરકાર સામેથી પ્રોત્સાહન આપે અને મદદ માંગે તો નવી પ્રેરણા એ મળે અને ફાયદો એ વધુ થાય. 
              હાલની આ મહામારીનો સમય માનવની લાચારી સાબિત કરવાનો નહીં પણ વિશ્વ માટે અને ભારત માટે નવતર ચડાણનો છે. માનવતા ટકી રહે તો જ જંગમાં આપણી જીત છે બાકી માણસ જીતીને એ હારશે. તે જ રીતે ભારત માટે આ સમનવય અને મુલ્યોના આદર્શથી ભારતીય મહાનતાની પરંપરાને જાળવી રાખી વધારવાનો સમય છે ..આમાં સહુનો સાથ જોઇશે, સરકારનો પણ અને આપણી સહુ પ્રજાનો પણ.

Saturday, 9 May 2020

અનાથાશ્રમે "મા" ની છબી

"આજે પણ મારે તો વોડૅનના ઘાટાથી જ જાગવુ પડ્યુ..હે પ્રભુ આજ mothers day છે તો ય અેક દિવસ અમને જગાડવા માતા નઈ આવી શકે? તુ એક દિવસ મોકલને માને બદલામાં હું તને દર મહિને મળતી સ્વીટ આપીશ...પાક્કુ પ્રોમિશ"
એક અનાથાશ્રમના બાળકની પ્રાર્થના.

   મા નુ નામ લેતા જ આંખો સમક્ષ માનુ હાલતુ-ચાલતુ ,વહાલ કરતુ,આપણ ને મનાવતુ,ભાવતુ જમાડતી, ખૂશી મા કે દુઃખમા સાથે ઊભી મા નુ ચીત્ર ખડુ થઈ જાય છે, પણ વિચારો અનાથાશ્રમના એ બાળકો જે મા વિહોળા છે એમનુ શુ થતું હશે !  મા શબ્દ એ એક કરુણા એમની આંખોમા , દદૅ તેમના હદયે ને ફરીયાદ તેમની આંખો માં ડોકાતી ના હોય!

          કેવુ લાગતુ હશે એમને ...જયારે સવારે જગાડવા મા નય હોય...હા, આજકલ આપનને સવારનો એ અવાજ ક્રકશ લાગે છે,મીઠી નીંદ માં ખલેલ કરતો,પણ કયારે વિચારયુ છે આ અવાજ ના હોય તો..!અનાથ બાળકો તો કાયમ આ અવાજ ને તરસતા જ  હશે ને..! ભાવતા ભોજન સાથે સવાર-સાજ વધુ જમવાનો આગ્રહ કરતી મા વગર જ એમને તો જમવાનુ હોય છે, મળેલુ
ભોજન ભાવે છે કે નહી.... અને ના ખાવાની જીદ સામે નવુ બનાવી આપતી મા એમની પાસે કયારેય હાજર નથી હોતી...કયારેક એમને પણ મન થતુ હશે ને બાળહટે ચઠવાનુ...   પણ મનાવવા આવે વહાલથી એ મા હાજર નથી હોતી..શીષ્ટભર મેળા ને બજારમા ફરતી વખતે રમકડા માટે જીદે ચડેલા બાળક ને પ્રેમથી સમજાવી પટાવી ધરે લઈ જતી મા જોઈ આ બાળકોને શુ થતુ હશે ! બની શકે મા વીના જલ્દી સમજદાર બની જતા હશે પરતુ કયારેક તો લાગણી એમના પર હાવી થતી હશે ત્યારે મા ના પાલવ વગર આંસુ ને વહાવવુ એ કેટલુ મુશ્કેલ લાગતુ હશે એમને..,મેલા કપડા ધોય ઈસ્ત્રી કરી આપતી મા વગર ના સ્વચ્છ કપડામા એમને હુફની કમી નય લાગતી હોય...મા આજ આ કપડા નય પહેરુ ની જીદ વગર ચુપચાપ કબાટ માથી કપડા લઈ પહેરતા ... હૃદયમાં ફરીયાદના સૂર નહી ઊભરાતા હોય..જ્યારે કપડા ફાટતા હશે જાતે જ સોયદોરો પકડી એ બાળકો મૂંઝાતા નય હશે..! પડવા વાગવા પર જાતે મલમ લગાવતા હૃદયે મા ની છબી કેવી ઉપસી આવતી હશે..અનાયસે ત્યારે ઈશ્વર સમક્ષ ફરીયાદ એ થઇ જ જતી હશે ને ! શુ કરવુ શુ નહી....કોન સારૂ કોન નહી...જેવી સમજણ મા વગર જાતે કેળવતા આ બાળકો મુજાતા નય હશે..

      કોઈ mothers day  એમની આ માતા ની તરસ ને છીપાવી શકે..! ઈશ્વરની છબી તેમની માતા ની ખોટને પૂરી શકે.! ક્યાં ભોજન માતા ના હાથ નો હેત આપી શકે..! કોઈ મધુર અવાજ મા ના પૂકાર ની જગ્યા લઈ શકે..! મગજ ની કઈ સમજણ હૃદયમાં મા વિશે ના વલોપાત ને રોકી શકે...! કયો મલમ મા વિના ના બાળપણ નો ધાવ પુરી શકે..! કયુ પુસ્તક ભણવામા આવતી મા ની મમતા નો અનુભવ આપી શકે ! પોતાના અસ્તિતવ ના મુજવતા પ્રશ્નો ને ..કેમ અનાથ? એનો જવાબ કઈ આસ્થા આપી શકે !

       મા ની આવી જ કમી સાથે સમાધાન કરી આ બાળકો કદાચ શિક્ષણ ના કઠીન પગથિયા ચઢી આર્થિક પાસુ મજબુત કરી એ લેય છે....પરતુ સામાજીક જીવન ગોઢવવા મા લાબો સંઘર્ષ કરવો પડે..જે મા ની કમી ને વધુ ઉજાગર કરે, મમતા ની જરૂરીયાતને વધુ સજીવન કરે...પણ મજબુરી ફરી બાળપણ ની જેમ તેમને મા ની મમત ભૂલી જીવન આગણ વધારતા શીખવે છે ને જીવન એમનુ મા ની કમી સહ વહયુ જાય છે..
     
     આવા કેટલા એ બાળકો છે જે મા વીના જીવવા મજબુર છે..ઈશ્વર જેમની મા છીનવી લેય એમના માટે તો આપણે કય કરી નય શકતા પરતુ સમાજની રૂઢી,જડતા,ગરીબી જે બાળકોની મા છીનવે છે એમને માની મમતા ને પરીવાર મળી રહે તેવા પ્રયાસ તો ચોક્કસ કરી શકયે ને !

Friday, 1 May 2020

આકાશગાથા

હું આકાશ,(આભ,આસમાન,ગગન જેવા ધણા એ નામે ઓળખાવ છુ)

આ જરા મારા પ્રિયાંસી શાંત ને એકાંતવાસમાં  છે...તો થયું લાવ હું  લખવા બેસુ" શું કર્યું મે આટલા વર્ષો થી...અનંત કાળ નાં મારા અસ્તિત્વનું સરવૈયું કાઢવા .."
પણ સાચું કહું???

કશું જ યાદ નાં આવ્યું... બસ ધરતી ને સુખ દીધા નું યાદ...એના સુખ માટે કરેલા પ્રયાસો નો જ આવ્યો ચિતાર.. ક્યારેક મારાથી વધારે થયેલી એ ખુશ મારી પ્રયાસી, તો ક્યારેક હું એના સુખી કરવા લગાવું બળ ને એ થયેલી દુઃખી, ક્યારેક કઈંક કર્યા વગર જ થાય ખુશી થી એ લથબથ, એવું કેટલું ય...
શરૂઆતમાં તપ્ત એવી લાવા થી મળી હતી મને, ઘણી સહનશીલ હતી અે, દર્દ એનું દુઃખી કરતું હતું મને, પણ એમાં થી પાર ઉત્તરી  એ, જળ નાં સજૅન થી ખુદ ને નવપલ્લવિત કરી સકી.હા, મારો સહયોગ ખરો પણ હું એને નય ગણવું, પોતાના ને દુઃખ માંથી ઊભા કરવા હાથ લંબાવ્યા એ કંઈ સારા સારા કર્મો માં ગણાવાય અને લોકો ને કહેવાય, એ તો મારા અંગતપાના પર જ શોભે. 

   એ પછી ય કેવી એકલી અટૂલી.. જળ ની શીતળતા માં મૃત પાય. હા સજૅન થયું એમાં એના જ પ્રયાસથી "જીવન" . એના જ જેવી જીવનતા એને સર્જી...નાના થી સારું કરી ઘણા જીવો ને સર્જ્યા, પોષયા, પોતાના પંખ માં સાચવ્યા, લીલોત્રા થી અમરા મિલનને  વધારે સુનેરી બનાવ્યું. હું બસ એના મારા સહવાસ ને એના જીવન આનંદ નો મુક સાક્ષી બની રહ્યો.

આવા જ એક જીવ નું એને સજૅન કર્યું "માનવી" થોડો આગવો એવો, એનો પ્રિય હતો, લાડ ઘણા લડાવ્યા, ને પોષયો. હું શું કહી શકું એને.! મારી પ્રાણ પ્રિય ને કેમ ટોકુ! લાડ બગાડે સહુ ને એ સમજ્યો પણ નાં સમજાવી શક્યો એને! બસ ત્યાંથી શરૂ થઈ અમારા દુઃખની કહાની. 

      અતિ લાડ થી બગડેલો એનાથી પોસ્ય એ માનવજીવ એનો જ ઘાતક બની બેઠો. સરુવાત માં તો બીજા જીવો એના સહજીવી ઓ ને કર્યું નુકસાન, નંદન વન સા વૃક્ષો,જળ ની શોભા એવા જળચરો, મારા અલ્કર એવા અબર ઘેલા પંખીઓ, સહુ નો કર્યો ઘાત.
ને પોતે વિસ્તરતો રહ્યો..મારું હૃદયસ્વામિની થઈ દુઃખી. સુધારવા કયાૅ પ્રયાસ. સમજાવ્યો એને ક્યારેક તોફાન બની, ક્યારેક શીતળ જળ બની, ક્યારેક તાડવ કરી, ક્યારેક સુખાલાપ કરી, પણ માનવ જેનું નામ નાં સમજ્યો. મારી ધરતી દુઃખી થઈ..હું પણ આંશુ સારી ક્યારેક સાંત્વના આપતો.. પરંતુ હજી પૂરતું નોતું..

   માનવી નાં અપલખણ હવે આવ્યા સામે.. માતા સમાન જનમ દાત્રી નો એ ઘાતક બનાવા લાગ્યો...કોમલ મારી પ્રિયાંસી અંદર પવિત્ર જળ નાં  બદલે ભર્યું દૂષિત પાણી, ફળદ્રુપ મારી પ્રિયા નો દુરપિયોગ કર્યો, જીવનુપિયોગી નાં બદલે વિલાસ નાં કેફી પણુ વાવલા લાગ્યો, 
દુર્ગંધ મારતા કચરાથી મારી પ્રિયા ને પરેશાન કરી, છતાં અે જોવ સહનશકિત મારી સહવિચરણીની, નાં દુઃખી કરવાનું સાજા કરવાનું વિચારતી, બસ આંશુ સારતી રહી, ક્યારેક સમજાવતી રહી પણ.. માનવ ક્યાં સમજાવવાથુ સમજે એમ  હતો !

હા, આજકાલ શાંતિ છે થોડી મારી પ્રિયા ને પણ એ હજી દુઃખી છે..
આજકાલ..એના લાડલા એ દુઃખ આપવાનું ઓછું કર્યું એને, કારણ કે એ દુઃખી છે. પોતાને બચાવવા પ્રયાસ કરે , ને ફરી પ્રિયા એ એના દુઃખે દુઃખી છે...બસ હું એના સહવાસ વિચારાધીન છું ..કેમ કરી મારી પ્રાણપ્રિયા ને સુખ સાગર માં લઈ જાવ..??

રાષ્ટ્રીય તહેવારોની ઉજવણીએ મારું મનોમંથન

 26 જાન્યુઆરી 2026 — ભારતનો 77મો ગણતંત્ર દિવસ. આજના દિવસે મનમાં અનાયાસે એક પ્રશ્ન ઊભો થાય છે — શું આજની પેઢી ખરેખર સમજી શકે છે કે આઝાદી શું ...