Sunday, 25 January 2026

રાષ્ટ્રીય તહેવારોની ઉજવણીએ મારું મનોમંથન

 26 જાન્યુઆરી 2026 — ભારતનો 77મો ગણતંત્ર દિવસ. આજના દિવસે મનમાં અનાયાસે એક પ્રશ્ન ઊભો થાય છે —

શું આજની પેઢી ખરેખર સમજી શકે છે કે આઝાદી શું છે? શહીદો કોણ હતા? અને ગુલામીનો અંધકાર કેટલો ઊંડો હતો?

આ પ્રશ્ન જો એક સામાન્ય નાગરિકના મનમાં ઊઠે તો સ્વાભાવિક છે,

પરંતુ જ્યારે એ પ્રશ્ન એક શિક્ષકના મનમાં ઉદ્ભવે —

ત્યારે એ ભારતની શૈક્ષણિક વ્યવસ્થા સામેય પ્રશ્નાર્થ ઊભા કરે છે! 

શિક્ષક તરીકે હું સ્વીકારું છું કે માત્ર અભ્યાસક્રમ, પાઠ્યપુસ્તકો કે શિક્ષકના શબ્દોથી દેશપ્રેમ, ભારતનો ઇતિહાસ, ગૌરવગાથા અને શહીદોના અમર બલિદાન

વિદ્યાર્થીઓના હૃદયમાં ઊંડે સુધી ઉતરી જાય — એવું માનવું અધૂરું છે.

આજની પેઢીમાં દેશપ્રેમ છે, આ સત્ય છે.

પરંતુ ઘણી વખત એ દેશપ્રેમની મૂળભૂત જડ મજબૂત નથી. બલિદાન, સંઘર્ષ અને પીડાની ગાથાને જાણ્યા, સમજ્યા અને અનુભવ્યા વગર ઉદ્ભવતો દેશપ્રેમ ઘણી વાર માત્ર પ્રતિકાત્મક બનીને રહી જાય છે.


મારાથી અનાયસે આજના સમયના કિશોરો અને પોતાની કિશોરાવસ્થાની સરખામણી થઈ જાય છે. અમારા સમયમાં 26 જાન્યુઆરી અને 15 ઑગસ્ટ માત્ર રજાનો દિવસ નહીં 

એ રાષ્ટ્રપ્રેમનો ઉત્સવ હતો. શાળાઓમાં રાષ્ટ્રભક્તિના ગીતો ગૂંજી ઊઠતા, શહીદોના નારા દિલમાંથી નીકળતા અને કાર્યક્રમોમાં રાષ્ટ્રીય નેતાઓના જીવન પર આધારિત નાટકો

અમને દેશના ઈતિહાસ સાથે જીવંત રીતે જોડતા. પાઠ્યપુસ્તકમાં આવતો ભગતસિંહ, ગાંધીજી કે સરદાર શાળાનું ભણતર પૂરુ થયા પછી કદાચ ભૂલાઈ જાય, પણ મંચ પર જીવંત બનેલા તેમના સંઘર્ષ અને સમર્પણ જીવનભર માટે મનમાં વસીને રહી જતાં.

રાષ્ટ્રીય તહેવારોના દસ-પંદર દિવસ પહેલાંથી શરૂ થતી તૈયારી અમને શિસ્ત, સમર્પણ અને જવાબદારીનું મહત્વ શીખવતી એ તૈયારી જ રાષ્ટ્રીય પ્રેમની નીવ હતી.


આજના સમયમાં જ્યારે રાષ્ટ્રીય તહેવારોના કાર્યક્રમો તરફ નજર કરીએ, ત્યારે ઘણી વખત સ્વાતંત્ર્ય સંગ્રામ, ગુલામી સામેનો સંઘર્ષ અને રાષ્ટ્રીય નેતાઓની વિચારધારા કાર્યક્રમોમાંથી ગાયબ હોય છે. એની જગ્યાએ મનોરંજન અને સામાન્ય નૈતિક સંદેશાઓએ સ્થાન લીધું છે.

આ કાર્યક્રમો ખોટા નથી —

પરંતુ રાષ્ટ્રીય તહેવારો પર કેમ રાષ્ટ્રને સંલગ્ન કાર્યક્રમો ગાયબ થાય?

આ પ્રશ્ન મને સતત મથામણમાં નાખે છે.

બાળકોની વાર્તા વાંચનમાં શહીદોની નાની-નાની પ્રેરણાદાયી કથાઓ હવે ભાગ્યે જ જોવા મળે છે. કાર્ટૂન અને વિડિઓઝમાં પણ રાષ્ટ્રપ્રેમને રસપ્રદ રીતે રજૂ કરવાની રીત નથી . એની સામે કલ્પનાજગતના પાત્રો બાળકોને વધુ આકર્ષે છે.

પેઢી દર પેઢી સંઘર્ષ બદલાય — એ સ્વાભાવિક છે. પરંતુ પોતાના પૂર્વજોની સંઘર્ષની કથા ભુલાઈ એ અસ્વાભાવિક છે. દરેક પેઢીને પોતાનો ઇતિહાસ ખબર હોવો જોઈએ..એ જ તો ભારતીય પરંપરા છે.


આઝાદીની ઉજવણી પહેલા આઝાદીની સમજણ હોવી જોઈએ...કારણ કે પોતાના મૂળને ઓળખ્યા વગર કોઈપણ રાષ્ટ્રનું ભવિષ્ય મજબૂત બની શકે નહીં.......

No comments:

Post a Comment

રાષ્ટ્રીય તહેવારોની ઉજવણીએ મારું મનોમંથન

 26 જાન્યુઆરી 2026 — ભારતનો 77મો ગણતંત્ર દિવસ. આજના દિવસે મનમાં અનાયાસે એક પ્રશ્ન ઊભો થાય છે — શું આજની પેઢી ખરેખર સમજી શકે છે કે આઝાદી શું ...